સોમનાથ મંદિર ખાતે દેશનો સૌ પ્રથમ થીડી લાઈટ શો શરૂ થયો, જુઓ Pics
સોમનાથઃ દેશનાં બાર જ્યોતિર્લીંગમાં પ્રથમ સ્થાને બિરાજમાન સોમનાથ મહાદેવ મંદિરનાં પરિસર ખાતે 21 એપ્રિલ-2017 શુક્રવારે સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લાઇટ એન્ડ સાઉન્ડ શો ને ખુલ્લો મુક્યો હતો. અરબી સમુદ્રનાં લહેરાતા મોજાઓ વચ્ચે સોમનાથની અડિખમ ઉભેલી ચિંરજીવી સંસ્કૃતિ, સંઘર્ષ અને ક્યારેય ખંડિત ના થાય એવી સોમનાથ સંસ્કૃતિ અને સાર્વભૈામત્વનાં દર્શન પ્રકાશ અને ધ્વનીનાં માધ્યમથી ઉદ્દધાટન સમારોહમાં યાત્રિકો, ભક્તો અને મહાનુભવોએ કર્યા ત્યારે સોમનાથ પરિસર જય-સોમનાથનાં નાદથી ગુંજી ઉઠ્યું હતું.
સોમનાથ દાદાના દર્શને આવતા શ્રધ્ધાળુઓને મંદિરના ભવ્ય ઇતિહાસ તથા સોમનાથ દાદાના ઐતિહાસિક મહત્વની જાણકારી પ્રાપ્ત થાય તે માટેગુજરાત પ્રવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે 35 મિનિટના લાઇટ એન્ડ સાઉન્ડ શોની વ્યવસ્થા કરવામાં આવી છે. સોમનાથ ખાતે નવીન આ સુવિધામાં ખુશ્બુ ગુજરાત કી કેમ્પેઇન હેઠળ બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચનના વોઇસમાં શો રાખવામાં આવ્યો છે.
આ ઉપરાંત થ્રી ડી પ્રોજેક્શન અને મેપિંગ, લાઇટિંગ ડિઝાઇનિંગ અને પ્રોગ્રામિંગ કરવામાં આવ્યું છે. અંગ્રેજી અને હિન્દી ભાષામાં સ્પેશિયલ ઇફેક્ટ આપવામાં આવી છે. 4.74 કરોડના ખર્ચે નિર્મિત આ શોમાં એક સાથે એક હજાર શ્રધ્ધાળુઓ બેસીને નિહાળી શકે તેવી પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ઉપરાંત સોમનાથ મંદિર, અંબાજી, ગિરનાર, દ્વારકા, ડાકોર, પાલિતાણા, શામળાજી, પાવાગઢ એમ આઠ યાત્રાધામો ખાતે હાઇટેક સ્વચ્છતાનો શુભારંભ શનિવારે મુખ્યપ્રધાન કરાવશે.
સોમનાથ મંદિર પરિસર, આસપાસના વિસ્તારોની સાફ સફાઇ, હાઉસકિપિંગ, રોડની સફાઇનું કાર્યક્ષેત્ર હમીરજી ગોહિલ સર્કલથી સાગર દર્શન અતિથિ ગૃહ, ગીતા મંદિર ત્રિવેણી ઘાટ પાસેના વિસ્તાર સદભાવના રોડથી બાયપાસ સર્કલ શંખચક્રથી એસબીઆઇ અને શંખચક્રથી સોમનાથ સુધીના રસ્તાઓનો સમાવેશ થાય છે.આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના ચેરમેન કેશુભાઈ પટેલ, યાત્રાધામ બોર્ડના ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવ અને પ્રવાસન નિગમના ચેરમેન કમલેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. લાઈટ એન્ડ સાઉન્ડ શોની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં...