ખોડલધામ મહોત્સવઃ 40 વિઘામાં બનાવાયું રસોડું, એક કલાકના 2.25 લાખ લોકો જમે તેવી વ્યવસ્થા

પાંચ દિવસ સુધી ચાલનારા મહોત્સવ દરમિયાન ભાવિક ભક્તોના ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવશે. 48 વિઘામાં ભોજન શાળા ઉભી કરવામાં આવી રહી છે. ખોડલધામ આવતા લોકો માટે 17 થી 20મી જાન્યુઆરી ચાર દિવસ સુધી દરરોજ ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી છે.
રાજકોટઃ રાજકોટના જેતપુર નજીક કાગવડ ગામ ખાતે લેઉવા પટેલની એકતાના પ્રતિક સમા ખોડલધામ મંદિરનું નિર્માણ થઇ ગયું છે. 17મી જાન્યુઆરીથી મહોત્સવનો પ્રારંભ થશે અને 21મી બપોર સુધી ચાલશે. 21મી જાન્યુઆરીએ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. ખોડલધામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેમ-જેમ નજીક આવી રહ્યો છે એમ ચારેયબાજુ સમાજના લોકોમાં ઉત્સાહ વધી રહ્યો છે.
રસોઈઘરમાં માલ-સામાનને રાખવા માટે કાચા અને પાકા સ્ટોરરૂમ પણ બનાવવામાં આવ્યા છે.ભોજન વ્યવસ્થા સમિતિના વશરામભાઈ ચોવટીયાએ જણાવ્યું હતું કે, મહિલાઓ અને પુરૂષો માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. બંન્ને વિભાગમાં 450 બાય 300 ફૂટમાં 129 કાઉન્ટર રાખવામાં આવશે.
રસોઈમાં પાણીની જરૂરીયાત માટે નજીકમાં રહેલા શકિતવનના સંપમાં અને ખોડલધામ સંસ્થાનાં સંપમાં મોટર મૂકવામાં આવી છે અને ત્યાંથી રસોઈઘર સુધી પાઈપલાઈન નાખવામાં આવી છે. આ ઉપરાંત જો કયારેય મોટરમાં કંઈ ખરાબી થાય તો પાણી ઘટે નહીં તે માટે 50 ટેન્કર રાખવામાં આવ્યા છે.
ગોપાલભાઇના કહેવા પ્રમાણે, અહીં 210 બાય 240 ફૂટમાં રસોઈ ઘર બનાવવામાં આવ્યું છે. એમાં રસોઈ બનાવવા માટે 48 ચુલા બનાવાયા છે અને રસોઈ ઘરમાં વાસણ સાફ કરવા માટે પાણીની બે મોટી ચોકડી અને 30 નાની ચોકડી બનાવવામાં આવી છે.
તે સિવાય મંદિરના પરિસર સહિત આજુબાજુના વિસ્તારને લીલોછમ બનાવાશે. ખોડલધામમાં 50 વીઘામાં શક્તિવન બનાવવામાં આવશે. જેમાં 40 હજાર વૃક્ષો વવાશે. ખોડલધામના પ્રોજેક્ટ મુજબ આખો વિસ્તાર લીલોછમ બનશે.
મહોત્સવ દરમિયાન દરરોજ લાખોની સંખ્યામાં લોકો ભોજન લેશે. અહીં આવતા લોકોને બપોરે ભોજન મળી રહે એ માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ભોજન વ્યવસ્થા સમિતિના ગોપાલભાઈ રૂપાપરાના કહેવા પ્રમાણે, ખોડલધામ ખાતે 48 વિભાગમાં રસોડું તૈયાર કરવામાં આવ્યું છે.
લેઉવા પટેલ સમાજના ગૌરવ સમાન લાખોની સંખ્યામાં લોકો આ મહોત્સવમાં હાજરી આપવાના છે. લોકોને ભકિતની સાથે પ્રસાદ પણ મળી રહી એ માટે એક વિરાટ ભોજનશાળા તૈયાર થઈ રહી છે. કાગવડ ખાતે નિર્માણ પામેલા ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને ત્યારબાદ દર્શન માટે મંદિર ખુલ્લુ મૂકવામાં આવશે.