'......તો વિજય રૂપાણીને રાજકોટમાં નહીં ઘૂસવા દઈએ', કોંગ્રેસના ક્યા નેતાએ કેમ આપી આ ધમકી ? જાણો વિગત
રાજકોટ: પાણીની સમસ્યાને લઇ રાજકોટમાં જળ સંકટ ઘેરું બની શકે છે. હાલ રાજકોટના તમામ જળાશયોમાં બે થી ત્રણ મહિના ચાલે તેટલું જ પાણી બચ્યું છે. સૌરાષ્ટ્ર અને રાજકોટમાં ચાલુ વર્ષે સારો વરસાદ થવા છતાં ઉનાળામાં પાણીની પારાયણ જોવા મળી શકે છે. આ મુદ્દે રાજકોટ મહાનગર પાલિકાના વિપક્ષ નેતા વશરામ સાગઠિયા લાલઘૂમ બન્યા હતા. તેમણે કહ્યું કે, જો ભર ઉનાળે પાણીકાપ નાંખવામાં આવશે તો મુખ્યમંત્રી રૂપાણીને રાજકોટમાં પ્રવેશવા નહીં દેવામાં આવે.
હાલ આજી ભાદરની પરિસ્થિતિ જોતા એપ્રિલ સુધી મોટાભાગે વાંધો આવે તેવુ નથી. પરંતુ જો ત્યાં સુધી શાસકો કંઇ નહીં વિચારે તો 15 એપ્રિલ પછી પાણી ક્યાંથી લાવવું તે મોટો સવાલ ઉભો થશે. ભાદર અને થોડુ ઘણું મળે તો પાઇપલાઇન દ્વારા નર્મદાના નીર પર આધાર રાખવો પડશે અને નર્મદાના નીર સાથ નહીં આપે તો મે મહિનો ભર ઉનાળે ક્યાંથી પાણી લાવવું તે મોટો સવાલ છે. જો કે આ વાત શાસકો જાણે જ છે પણ સ્વીકારતા નથી.
રાજકોટના જળાશયોમાં તળિયા દેખાતા વિરોધ પક્ષ દ્વારા આ શાસકપક્ષની અણ આવડત ગણાવવામાં આવી હતી. ભાજપ સરકાર ચૂંટણી સમયે મસ મોટા વાયદા કરી મત મેળવે છે અને ઉનાળા દરમિયાન લોકોને પાણી અંગે મુશ્કેલી થશે તો રાજકોટના લોકોને સાથે રાખી મેયર, કમિશ્નરનો ઘેરાવની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી, જરૂર પડ્યે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સાગઠિયાએ વધુમાં જણાવ્યું હતું કે, બજેટમાં લદાયેલો બમણો પાણીવેરો દૂર નહીં કરાય તો મેયરને શાંતિથી બેસવા દેવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું.
ભાજપ શાસિત મનપાના અધિકારીઓ અને શાસક પક્ષ દ્વારા સૌની યોજના મારફત ફરી આજી ડેમ ભરવા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. આગામી સમયમાં રાજકોટ મનપાના સતાધીશો દ્વારા જો ત્વરિત નિર્ણય લેવામાં નહીં આવે તો રાજકોટવાસીઓ માટે પાણીનો પ્રશ્ન ફરી એક વખત વિકટ બની રહેશે. ઉલ્લેખનીય છે કે નર્મદામાં પૂરતું પાણી નથી તો તે આજીમા કેવી રીતે આપશે તે મોટો સવાલ છે.