રાજકોટઃ હાથ પર ‘રામ’ ત્રોફાવેલ મહિલાની કોથળામાં પેક કરેલી કૂવામાંથી મળી લાશ
કૂવામાંથી અજાણી મહિલાનો મૃતદેહ હત્યા કરાયેલી હાલતમાં મળી આવતા ચકચાર જાગી છે. હત્યાના કારણ અંગે તેમજ ઓળખ મેળવવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. (તસવીર પ્રતીકાત્મક છે)
પોલીસે દસ-બાર દિવસની અંદર શાપર-વેરાવળ આસપાસ લાપતા થયેલ મહિલાઓની માહિતી મેળવીને તે દિશામાં તપાસ હાથ ધરી છે. મૃતક મહિલાના હાથ ઉપર ‘રામ' ત્રોફાવેલ છે.
રાજકોટઃ શહેર નજીક આવેલા શાપર-વેરાવળમાં અજાણી મહિલાનો મૃતદેહ હત્યા કર્યા બાદ કોથળામાં પેક કરીને કૂવામાં ફેંકી દેવાયેલી હાલતમાં મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ શાપર-વેરાવળના આનંદી આશ્રમ પાસે આવેલ માઇક્રોફોર્જ ફેકટરી પાછળ અવાવરૂ કૂવામાં કોઇનો મૃતદેહ પડ્યો હોવાનો પોલીસને કોલ મળ્યો હતો.
જે બાદ શાપર-વેરાવળ પોલીસ અને ગોંડલ ફાયર બ્રિગેડની ટીમ તથા તરવૈયાઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. શાપર-વેરાવળના ઇન્ચાર્જ પોલીસ અધિકારી વાય.બી.રાણા અને શાપર-વેરાવળ પોલીસ ટીમે જણાવ્યું હતું કે, 10 દિવસ પહેલા હત્યા કરાયેલ હાલતમાં કોઇ અજાણ્યા શખ્સો આ મહિલાને કોથળામાં પેક કરીને કૂવામાં ફેંકી દીધી હોય તેવું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો છે.