દાઉદ ગેંગનું ટાર્ગેટ અશફાક મોટો ખેલાડીઃ હવાલા સહિત બીજા ક્યા ક્યા ગોરખધંધામાં સામેલ હોવાની છે આશંકા ? જાણો વિગત
પોલીસે જાહેર કરેલી વિગતો પ્રમાણે દાઉદ ઇબ્રાહીમના ભાઇ અનીસ ઇબ્રાહીમે અશફાક ખત્રીની હત્યા કરવા માટે સોપારી આપી હતી. આ કારણે અશફાક ખત્રી ચર્ચામાં આવી ગયા છે. અશફાક ખત્રી એવી તે કેવી હસ્તી છે કે તેને મારવા માટે દાઉદના ભાઈ અનિસે સોપારી આપવી પડે તે સવાલ પૂછાવા માંડ્યો છે.
ખત્રીએ પછી ગુટખાના બિઝનેસમાં પણ ઝંપલાવ્યું અને તેના ભત્રીજા સફદરને દુબઈ સ્થાયી કરી ધંધો શૂ કર્યો. દુબઈમાં તે હોટ ખૈની નામની ગુટખા બ્રાન્ડની નિકાસ કરે છે જ્યારે હાર્ટ નામની ગુટખા બ્રાન્ડથી ઉત્પાદન પણ શરૂ કર્યું છે. ખત્રી બિઝનેસમેન હોવાની છાપ છે પણ તેના ધંધા શંકાસ્પદ છે.
અશફાક ખત્રી કચ્છના કુખ્યાત દાણચોર જાકબ બાવાનો ભત્રીજો થાય છે. તેના કારણે દુબઇના કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓ સાથે તેના સંબંધ છે. આ સંબંધોનો ઉપયોગ કરીને તે હવાલાનો મોટો કારોબાર ચલાવતો હોવાનું મનાય છે. આ માટે તે જામનગરમાં ચાલતા ઈસ્માઈલ બાવા ખત્રી ટ્રસ્ટનો ઉપયોગ કરતો હોવાનું મનાય છે.
રાજકોટઃ પોલીસે દાઉદ ઈબ્રાહીમ ગેંગના ચાર શાર્પ શૂટરો રામદાસ પરશુરામ રાણે, વિનીત પુંડરીક, સંદિપ દયાનંદ સિંઘબાદ અને અનિલ રાજુભાઇ ઘીલોડાને ઝડપી લીધા પછી આ શાર્પ શૂટરો જામનગરના બિઝનેસમેન અશફાક ખત્રીની હત્યા કરવા માટે આવ્યા હતા તેવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.
ઈસ્માઈલ બાવા અશફાકના પિતા હતા અને તેમના નામે ચાલતા ઇસ્માઇલ બાવા ખત્રી ટ્રસ્ટનો તે મેનેજિંગ ટ્રસ્ટી છે. રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમે કરેલી પ્રાથમિક તપાસમાં દુબઇથી ભારત અને ભારતથી દુબઇ કરોડો રૂપિયા હવાલા મારફતે મોકલાયા હોવાનું પણ બહાર આવ્યું છે. આ દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ઇસ્માઇલ બાવા ખત્રી નામના ટ્રસ્ટમાં છેલ્લા વર્ષોમાં થયેલા વ્યવહારો તપાસવામાં આવશે. આ બાબતે ચેરિટી કમિશનર અને જરૂર પડ્યે ઇડીના અધિકારીઓને પણ જાણ કરાશે. અશફાક ખત્રી જામનગરના એમ. પી. શાહ ઉદ્યોગનગરમાં એક્સપોર્ટ-ઇમ્પોર્ટની પેઢી ચલાવે છે.
તમાકુ અને બીડીનો વ્યવસાય કરતા અશફાક પર ડીઆરઆઇ, આઇબી અને કસ્ટમની વોચ હતી કેમ કે એક્સપોર્ટ-ઇમ્પોર્ટ બિઝનેસમાં પણ તેણે કાળા-ધોળા કર્યાની શંકા છે. , અશફાક સોપારીનો અને મસાલાનો દુબઇ સાથે વ્યાપાર કરે છે. અશફાકનો ભત્રીજો આ કારોબાર સંભાળી રહ્યો છે ને તેમાં ગેરરીતી થતી હોવાની આશંકા છે.
અલિયાબાડા નજીક વીજરખીમાં વિશાળ ફાર્મહાઉસ ધરાવતા અશફાકને ત્રણ દીકરા છે. એક દીકરો રાજકોટમાં ભણે છે અને એક જામનગરમાં રહે છે. રાજકોટથી જામનગર પહોંચેલી ક્રાઇમ બ્રાંચની ટીમને ઉપરોક્ત માહિતી અશફાકના પરિવારજનોએ જ આપી હતી. તપાસમાં અશફાક અંગે બીજા પણ ખુલાસા થવાની શક્યતા છે.
અશફાક ખત્રી છેલ્લા 20 વર્ષથી જામનગરમાં રહે છે અને સમયાંતરે દુબઇની મુલાકાત લે છે. ખત્રી જામનગરમાં ઈન્દિરી રોડ પરના ચર્ચ સામે આવેલા મકાનમાં રહે છે. તે વરસોથી સચાણા શિપ બ્રેકિંગ નામે કંપની ચલાવતો પણ છેલ્લાં કેટલાંક વરસોથી તેણે આ કંપની અલંગ ખાતે ખસેડીને ઈમ્પોર્ટ-એક્સપોર્ટના બિઝનેસમાં પડ્યો હતો.