નવી દિલ્હીઃ અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ ટૂંકમાં જ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બની જશે. તેમાં 1.10 લાખ લોકો બેસવાની ક્ષમતા છે. આ સ્ટેડિયમનું ઉદ્ઘાટન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હાથે થઈ શકે છે.


હિટમેન રોહિત શર્મા આ સ્ટેડિયમનું દ્રશ્ય જોઈને રોમાચિંત છે. તેણે ટ્વીટ કરીને લખ્યું- આશ્ચર્યજનક...સ્ટેડિયમ વિશે આટલું બધું સાંભળ્યા બાદ હવે ત્યાં રમવા માટે રાહ નહીં જોઈ શકું.


આ સ્ટેડિયથી બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી પણ ખૂબ જ પ્રભાવિત જોવા મળ્યા. ગાંગુલીએ ટ્વીટર પર લખ્યું, ‘અમદાવાદમાં આટલું મોટું અને શાનદાર સ્ટેડિયમ  જોઈને ખુશ થયો...એક ખેલાડી, કેપ્ટન તરીકે આ મેદાન સાથે મારી અનેક યાદો જોડાયેલ છે. ઇડનમાં હજારો લોકની હાજરી જોઈને મોટો થયો..આ સ્ટેડિયમને 24 તારીખે જોવા માટે આતૂર છું.’


ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ લખ્યું- શાનદાર લાગી રહ્યું છે. દરેક ભારતીય ક્રિકેટ પ્રેમી માટે સાચવી રાખવા જેવી પળ. વિશ્વ સ્તરીય સુવિધા- 1,10,000થી વધારેની ક્ષમતા.

આ સ્ટેડિયમને ફરી બનાવવામાં આવ્યું છે. સૌથી પહેલા આ સ્ટેડિયમ 1982માં બનાવવામાં આવ્યું હતું. તેના માટે ગુજરાત સરકારે 50 એકર જમીન આપી હતી.

1983માં આ સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન કરવામાં આવ્યું. અત્યાર સુધી મોટેરામાં એક ટી-20 ઇન્ટરનેશનલ, 12 ટેસ્ટ મેચ અને 24 વનડે ઇન્ટરનેશનલ મેચનું આયોજન કરવામાં આવ્યું.