કોરોના સંકટ વચ્ચે સચિન ફરી એક વખત આવ્યો આગળ, 4000 જરૂરિયાતમંદોને કરી નાણાંકીય સહાય
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 May 2020 12:04 PM (IST)
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 59,662 પર પહોંચી છે.
મુંબઈઃ ક્રિકેટના ભગવાન ગણાતા ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે તાજેતરમાં કોરોનાવાયરસના લોકડાઉન દરમિયાન 4000 જરૂરિયાતમંદ લોકોને આર્થિક મદદ માટે દાન કર્યું છે. તેંડુલકરે મુંબઈ સ્થિત એનજીઓ હાય 5 યૂથ ફાઉન્ડેશનને દાન કર્યું, જેનો હેતુ પાયાના સ્તરેથી ભારતમાં બાસ્કેટબોલની સ્થિતિમાં સુધારો લાવવાનો છે. સચિને જે સંગઠનને ડોનેશન આપ્યું તેણે ટ્વિટર પર માસ્ટર બ્લાસ્ટરનો આભાર માન્યો. હાઈ ફાઈવ યૂથ ફાઉન્ડેશન ટ્વિટર પર લખ્યું, ધન્યવાદ સચિન, ફરી એક વખત સાબિત થઈ રહ્યું છે કે રમત કરૂણાને પ્રોત્સાહિત કરે છે. અમારા કોવિડ-19 ફંડમાં તમે જે દાન કર્યુ તેનાથી અમને 4000 નબળા લોકોને નાણાકીય સહાય કરવામાં મદદ મળશે. જેમાં માયબીએમસી સ્કૂલના બાળકો પણ સામેલ છે. અમારા ઉભરતા ખેલાડીઓ તમારો આભાર માને છે, લિટલ માસ્ટર. સચિને પણ ટીમને કામગીરી માટે શુભેચ્છા પાઠવી હતી. સચિને ફાઉન્ડેશનનો જવાબ આપતાં ટ્વિટ કર્યુ, દૈનિક મજૂરી કરતા પરિવારોના સમર્થનમાં તમારા પ્રયાસો માટે ટીમને શુભકામના. આ પહેલા પણ સચિન કોવિડ-10 સામેની લડાઈમાં પ્રધાનમંત્રી રાહત ફંડ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન આપી ચુક્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 59,662 પર પહોંચી છે. 1981 લોકોના મોત થયા છે અને 17,847 લોકો સાજા થઈ ગયા છે. હાલ 39,834 એક્ટિવ કેસ છે.