India vs Pakistan Asia Cup: એશિયા કપ 2025ના સુપર-4 રાઉન્ડમાં આજે ભારત અને પાકિસ્તાન ફરી એકવાર આમને-સામને થશે. આ મુકાબલા પહેલા ક્રિકેટ જગતમાં એક વિચિત્ર સંયોગની ચર્ચા થઈ રહી છે, જે 2022ના એશિયા કપ સાથે જોડાયેલો છે. આ સંજોગોને જોતાં ભારતીય ક્રિકેટ ચાહકોને ચિંતા સતાવી રહી છે કે શું ગ્રુપ સ્ટેજમાં મળેલી જીત બાદ ફરી એકવાર ભારતને સુપર-4માં પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડશે?

Continues below advertisement

શું ઇતિહાસ પોતાને દોહરાવશે?

ભારત અને પાકિસ્તાન વચ્ચેની આજની મેચ 2022માં રમાયેલી મેચ સાથે અનેક રીતે સામ્યતા ધરાવે છે. બંને વખતે એશિયા કપ T20 ફોર્મેટમાં અને UAE માં રમાઈ રહ્યો છે. આ બંને ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે ગ્રુપ સ્ટેજમાં પોતાની તમામ મેચ જીતીને સુપર-4 માં પ્રવેશ કર્યો હતો, જ્યારે પાકિસ્તાન એક મેચ હાર્યા બાદ પણ ક્વોલિફાય થયું હતું. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે બંને વર્ષે ગ્રુપ સ્ટેજમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું (2022માં 5 વિકેટથી અને આ વખતે 7 વિકેટથી), અને બંને વર્ષે ભારત-પાકિસ્તાન વચ્ચેની બીજી સુપર-4 મેચ રમાઈ રહી છે.

Continues below advertisement

ગયા વખતની હારનું કારણ

2022 એશિયા કપમાં, જ્યારે ભારત અને પાકિસ્તાન સુપર-4માં ટકરાયા હતા, ત્યારે પાકિસ્તાને ભારતને 5 વિકેટથી હરાવીને બધાને ચોંકાવી દીધા હતા. આ હારના કારણે ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી શકી નહોતી, અને છેવટે શ્રીલંકાએ પાકિસ્તાનને 23 રનથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. તે મેચમાં પાકિસ્તાન માટે મોહમ્મદ રિઝવાને 71 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેણે 182 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતીય ચાહકોને એ જ ડર છે કે આ વખત પણ આવો જ કોઈ અપસેટ ન થાય.

ટીમ ઇન્ડિયા પર દબાણ?

આ આંકડા અને સંયોગો ભલે ગમે તેટલા વિચિત્ર લાગે, પરંતુ ક્રિકેટમાં મેદાન પરનું પ્રદર્શન જ અંતિમ પરિણામ નક્કી કરે છે. 2022માં મળેલી હાર બાદ ભારતીય ટીમ આ વખતે કોઈ પણ ભૂલ કરવાનું ટાળશે. ટીમ ઈન્ડિયા જાણે છે કે પાકિસ્તાનને હળવાશથી લેવાની ભૂલ તેમને ભારે પડી શકે છે. ભારતીય ચાહકો આશા રાખી રહ્યા છે કે આ વખતે ટીમ ઇન્ડિયા ઇતિહાસનું પુનરાવર્તન થવા દેશે નહીં અને સુપર-4માં વિજય મેળવી ફાઇનલ તરફ પોતાનું કદમ આગળ વધારશે.