Chetan Sharma: BCCI ના ચીફ સિલેકટર ચેતન શર્માએ રાજીનામું આપ્યું છે. ચેતને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહને રાજીનામું મોકલ્યું છે. રિપોર્ટ મુજબ જય શાહે રાજીનામાનો સ્વીકાર પણ કરી લીધો છે. ચેતન શર્માના રાજીનામા પાછળ સ્ટિંગ ઓપરેશન કારણભૂત માનવામાં આવે છે. એક ચેનલે કરેલા સ્ટિંગ ઓપરેશનમાં ચેતન શર્માએ અનેક ખુલાસા કર્યા હતા.


ચેતન શર્માને ડિસેમ્બર 2020માં પ્રથમ વખત મુખ્ય પસંદગીકારની જવાબદારી સોંપવામાં આવી હતી. આ પછી નવેમ્બર 2022માં તેમને પદ પરથી હટાવવામાં આવ્યા હતા. ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. આ જ કારણ હતું કે તેમને પદ પરથી હટાવવામાં આવ્યા હતા. પરંતુ તેને ફરીથી આ જવાબદારી સોંપવામાં આવી.


સ્ટિંગ ઓપરેશનમાં કર્યાં હતા ચોંકાવનારા ખુલાસા


ભારતીય ક્રિકેટ બોર્ડની સિલેક્શન પેનલના ચીફ ચેતન શર્માએ એક સ્ટિંગ ઓપરેશનમાં ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું કે, કેટલાક ભારતીય ક્રિકેટરો ફિટ થવા માટે ડોપિંગમાં ના પકડાય તેવા ઈંજેક્શન લે છે. ખેલાડી 80 ટકા ફિટ હોય તો તે ઈન્જેકશન લઈને ફિટ થઈ જાય છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણી યોજાઈ રહી છે, ત્યારે શર્માના સ્ટિંગ ઓપરેશને ભારતીય ક્રિકેટની સામે અનેક પ્રશ્નો ખડા કરી દીધા છે


ચેતન શર્માએ સ્ટિંગ ઓપરેશનમાં એવો પણ ખુલાસો કર્યો હતો કે કોહલીને લાગતુ હતુ કે, ગાંગુલીને કારણે તેને કેપ્ટન્સી ગુમાવવી પડી છે. જોકે ગાંગુલીનો એકલાનો એ નિર્ણય નહતો. અમે બધા સિલેક્શન પેનલમાં હતા. કોહલીએ આ જ કારણે સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલા મીડિયાની સામે આ અંગે ખુલાસો કરતાં ગાંગુલીની બદનામીનો પ્રયાસ કર્યો હતો. જોકે તે બુમરેંગ સાબિત થયો હતો. નોંધપાત્ર છે કે, કોહલીએ ત્યારે કહ્યું હતુ કે, મારી કેપ્ટન્સી છોડવાની રજુઆતને બીસીસીઆઇના હોદ્દેદારોએ સહર્ષ સ્વીકારી લીધી હતી. જોકે ચેતન શર્માએ સ્ટિંગમાં કહ્યું કે, ગાંગુલીએ તેને ફેર વિચાર કરવા માટે જણાવ્યું હતુ. જોકે આ બાબત કોહલીને સંભળાઈ નહતી કે તેણે તેને નજર અંદાજ કરી હતી, તે તો કોહલી જ કહી શકે. અમે રોહિત શર્માની તરફેણ કરી એવું નથી. ગાંગુલીને કોહલી ગમતો નહતો એમ પણ તમે કહી શકો.