વૈભવ સૂર્યવંશી માટે ક્યારે ખુલશે ટીમ ઈન્ડિયાના દરવાજા? BCCI એ આપ્યો મોટો સંકેત
2026 ના IPL માં ઓરેન્જ કેપ વિજેતા 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયામાં પસંદગી માટે વધી રહેલી માંગણીઓ વચ્ચે, BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડ્યું છે.

Vaibhav Suryavanshi: IPL 2026 માં પોતાના વિસ્ફોટક પ્રદર્શનથી ક્રિકેટ જગતને હેરાન કરનારો વૈભવ સૂર્યવંશી હવે ભારતીય ટીમના દરવાજા ખખડાવતો જોવા મળી રહ્યો છે. માત્ર 15 વર્ષની ઉંમરે ઓરેન્જ કેપ જીતનારા આ યુવા બેટરને ટીમ ઇન્ડિયામાં સામેલ કરવાની માંગ સતત વેગ પકડી રહી છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફથી પણ તેના ભવિષ્યને લઈને સકારાત્મક સંકેતો મળ્યા છે.
રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા વૈભવ સૂર્યવંશીએ IPL 2026 માં બેટથી એવો ધમાકો કર્યો કે તે ટૂર્નામેન્ટનો સૌથી ચર્ચિત ખેલાડી બની ગયો. તેણે માત્ર રન જ નથી બનાવ્યા, પરંતુ ઓરેન્જ કેપ, ઇમર્જિંગ પ્લેયર, મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર અને સર્વોચ્ચ સ્ટ્રાઇક રેટ જેવા કેટલાય મોટા એવોર્ડ્સ પણ પોતાના નામે કર્યા છે.
BCCI સચિવે શું કહ્યું?
IPL 2026 ની ફાઇનલ બાદ મીડિયા સાથેની વાતચીતમાં BCCI સચિવ દેવજીત સૈકિયાએ વૈભવના ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે– "તે એક અદભુત પ્રતિભા છે. તેનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે. BCCI એ દરેક સંભવ પ્રયાસ કરશે જેથી વૈભવ ક્રિકેટના સર્વોચ્ચ સ્તર પર રમી શકે." સૈકિયાના આ નિવેદન બાદ એ ચર્ચા વધુ તેજ થઈ ગઈ છે કે આવનારા મહિનાઓમાં વૈભવને ભારતીય ટીમમાં તક મળી શકે છે.
IPL 2026 માં વૈભવનું રેકોર્ડબ્રેક પ્રદર્શન
#WATCH | Ahmedabad, Gujarat: On the Royal Challengers Bengaluru defeating the Gujarat Titans by 5 wickets in the Indian Premier League, BCCI secretary Devajit Saikia says, "It was a wonderful season... I hope all the fans have a lovely time during this IPL, and congratulations to… pic.twitter.com/XQwREerg7M
— ANI (@ANI) May 31, 2026
વૈભવ સૂર્યવંશીએ રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા 16 ઇનિંગ્સમાં 776 રન બનાવ્યા છે. તેની એવરેજ 48.50 અને સ્ટ્રાઇક રેટ 237.30 નો રહ્યો હતો. આખી સીઝનમાં તેણે એક તોફાની સદી અને પાંચ અર્ધસદી ફટકારી હતી.
તેના બેટમાંથી 63 ફોર અને 72 સિક્સર નીકળી હતી. આ સાથે જ તે IPL ઇતિહાસમાં સૌથી નાની ઉંમરે ઓરેન્જ કેપ જીતનારો બેટર બન્યો છે. એટલું જ નહીં, તેણે કોઈ એક T20 ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે.
હવે વૈભવ સૂર્યવંશીની આગામી મેચ ક્યાં હશે?
IPL પૂરી થયા બાદ વૈભવનું આગામી લક્ષ્ય ઇન્ડિયા-એ (India-A) ટીમ હશે. તે 9 જૂનથી શરૂ થઈ રહેલી શ્રીલંકા ટ્રાય-સિરીઝમાં ભારતીય ટીમનો ભાગ બનશે. ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે જો તેનું પ્રદર્શન આ જ રીતે ચાલુ રહેશે તો આયર્લેન્ડ અથવા ઝિમ્બાબ્વે પ્રવાસ માટે પણ તેને ભારતીય ટીમમાં તક મળી શકે છે.
આ ઉપરાંત વૈભવને એશિયન ગેમ્સ 2026 માટે પણ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યો છે. આ પહેલા તે ભારતની અંડર-19 વર્લ્ડ કપ ટીમ અને ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપમાં પણ દેશનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે.
હવે વૈભવ સૂર્યવંશીનું સપનું શું છે?
વૈભવ સૂર્યવંશીએ IPL 2026 ની ફાઇનલ બાદ સ્ટાર સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં પોતાના ભવિષ્યના લક્ષ્યનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે તેનું સૌથી મોટું સપનું ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમવાનું છે. આ માટે તેણે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. જોકે તેનું માનવું છે કે હજુ સુધી તેને આ ફોર્મેટમાં પોતાને સાબિત કરવાની પૂરતી તક મળી નથી.
IPL માં રેકોર્ડબ્રેક પ્રદર્શન, BCCI નો ભરોસો અને સતત મળી રહેલી મોટી તકો એ વાતનો સંકેત છે કે ભારતીય ક્રિકેટને ભવિષ્યનો એક મોટો સુપરસ્ટાર મળી ચૂક્યો છે. હવે તમામની નજર એ વાત પર રહેશે કે વૈભવ સૂર્યવંશી ક્યારે અને કયા પ્રવાસમાં ટીમ ઇન્ડિયાની સિનિયર જર્સીમાં જોવા મળે છે.



















