નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ એટલે કે બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પ્લાન બનાવ્યો છે કે આઇપીએલ-ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝન પહેલા ઓલસ્ટાર મેચ રમાય. આમાં 4-4 ટીમોના ખેલાડીઓ આમને-સામને હોય, પણ હવે આ મેચ પર પાણી ફરી વળ્યુ છે. આઇપીએલની ફ્રેન્ચાઇઝીએ આ મેચને લઇને આપત્તિ દર્શાવી છે.


ખાસ વાત છે કે, BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીની ઇચ્છા હતી કે IPL 2020ની શરૂઆત પહેલા 25 માર્ચે દિગ્ગજ ખેલાડીઓ ભેગા મળીને એક મેચ રમે. પણ હવે આ મેચનુ આયોજન આઇપીએલ પહેલા નહીં થાય. એટલે કે આઇપીએલ પછી આ મેચનુ આયોજન થઇ શકે છે.  24 મે, 2020 આઇપીએલ ટૂર્નામેન્ટ પુરી થયા બાદ આ મેચનુ મોટેરા સ્ટેડિયમમાં આયોજન થઇ શકે છે.

કેટલીક ફ્રેન્ચાઇઝીઓ દ્વારા આપત્તિ દર્શાવવામાં આવી છે કે આ મેચનુ આયોજન પછીથી કરાવવામાં આવે, એટલે કે હવે આ મેચ આઇપીએલ 2020ની ફાઇનલ મેચ પછી રમાશે.



ઓલસ્ટાર ટીમમાં આઇપીએલની 8 ટીમનો દિગ્ગજ ખેલાડીઓ રમાશે. જેમાં 4-4 ટીમનો ખેલાડીઓને એક ટી20 મેચમાં સામસામે રમવાનુ રહેશે.

આ મેચમાં બે ટીમો બનાવવામાં આવશે, જેમાં એક સાઉથ અને વેસ્ટ ઝૉન અને બીજી નૉર્થ અને ઇસ્ટ ઝૉનમાંથી બનાવાશે. સાઉથ અને વેસ્ટ ઝોનમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર, ચેન્નાઇ સુપર કિંગ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઇ ઇન્ડિયન્સના ખેલાડીઓ હશે. જ્યારે નૉર્થ અને ઇસ્ટ ઝૉનની ટીમમાંથી કોલકત્તા નાઇટ રાઇડર્સ, રાજસ્થાન રૉયલ્સ, કિંગ્સ ઇલેવન પંજાબ, દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ સામેલ હશે.