Gautam Gambhir statement: કોલકાતા ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતની 30 રનની કારમી હાર બાદ ચારેબાજુ આલોચના થઈ રહી છે. 124 રનનો સામાન્ય લક્ષ્યાંક હોવા છતાં ભારતીય ટીમ માત્ર 93 રનમાં સમેટાઈ ગઈ. આ શરમજનક પરાજય પર ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પ્રતિક્રિયા આપી છે. ગંભીરે હારનું ઠીકરું પિચ પર ઢોળવાને બદલે સ્પષ્ટપણે બેટ્સમેનોને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે આ પિચ પર 124 રનનો લક્ષ્યાંક આસાનીથી હાંસલ કરી શકાતો હતો, પરંતુ ખેલાડીઓએ ધીરજ ન બતાવી.

Continues below advertisement

હાર પર ગંભીરનું સ્પષ્ટ નિવેદન

દક્ષિણ આફ્રિકાના સ્પિનરો સિમોન હાર્મર અને કેશવ મહારાજ સામે ભારતીય બેટિંગ ધરાશાયી થતાં, 15 વર્ષમાં પહેલીવાર દક્ષિણ આફ્રિકાએ ભારતીય જમીન પર ટેસ્ટ મેચ જીતી છે. આઘાતજનક હાર પર બોલતા કોચ ગૌતમ ગંભીરે પિચનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું, "અમને અહીંના પિચ ક્યુરેટર તરફથી ઘણો ટેકો મળ્યો. અમે આવી જ સ્પિન-ફ્રેન્ડલી પિચ ઈચ્છતા હતા."

Continues below advertisement

બેટ્સમેનોની ધીરજ ખૂટી

ગંભીરે સ્પષ્ટપણે બેટિંગ યુનિટની નિષ્ફળતાને સ્વીકારી. તેમણે કહ્યું, "હું હજુ પણ માનું છું કે પિચ ગમે તેવું વર્તન કરે, 123 (124) રનનો પીછો કરી શકાય તેવો સ્કોર હતો. જો તમે ધીરજ રાખો, સારો બચાવ કરો અને સખત પ્રયાસ કરો, તો તમે ચોક્કસપણે રન બનાવી શકો છો." તેમણે ઉમેર્યું, "આ એવી પિચ નહોતી જ્યાં તમે બેટથી શાનદાર પ્રદર્શન કરી શકો અથવા મોટા શોટ ફટકારી શકો, પરંતુ જો તમે ધીરજ બતાવો, તો તમે સ્કોર કરી શકો છો."

"સારું નહીં રમો તો આવું જ પરિણામ આવે"

કોચે પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું, "જ્યારે તમે સારું નહીં રમો, ત્યારે આ જ પરિણામ આવે છે." ગંભીરનું આ નિવેદન સ્પષ્ટપણે દર્શાવે છે કે તેઓ માને છે કે હાર માટે પિચ કરતાં વધુ બેટ્સમેનોની માનસિકતા અને ટેકનિકલ ખામીઓ જવાબદાર હતી.

ગંભીરનો કથળતો કોચિંગ રેકોર્ડ (ટેસ્ટ)

આ હાર સાથે, મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરનો ટેસ્ટ ક્રિકેટમાં નિરાશાજનક રેકોર્ડ ચાલુ રહ્યો છે. ગંભીરના કોચિંગ હેઠળ, ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં 18 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી માત્ર 7 મેચમાં જીત મળી છે. જ્યારે 9 ટેસ્ટ મેચમાં ભારતનો પરાજય થયો છે અને 2 મેચ ડ્રો રહી છે.

વિદેશી પ્રવાસોમાં પણ નિષ્ફળતા

ગંભીરના કાર્યકાળ દરમિયાન, ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવા મોટા દેશો સામે ટેસ્ટ શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. એટલું જ નહીં, ઈંગ્લેન્ડના મહત્વના પ્રવાસ પર પણ ટેસ્ટ શ્રેણી 2-2 થી બરાબરી પર સમાપ્ત થઈ હતી. હવે, દક્ષિણ આફ્રિકાએ ભારતીય ટીમને ઘરઆંગણે હરાવીને ગંભીરના કોચિંગ રેકોર્ડ પર વધુ ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.