India vs New Zealand Champions Trophy 2025: ભારતે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 (Champions Trophy 2025)નું ટાઇટલ જીતી લીધું છે. રોહિત શર્માની કપ્તાની હેઠળ ટીમ ઈન્ડિયાએ 13 વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. ટીમ ઈન્ડિયાની આ જીતના મુખ્ય 3 કારણો હતા, જેણે ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.



  1. ન્યુઝીલેન્ડની ટીમને 252 રનમાં આઉટ કરવી:


ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને શરૂઆત પણ સારી રહી હતી. વિલ યંગ અને રચિન રવિન્દ્રએ પ્રથમ વિકેટ માટે ઝડપી 57 રન બનાવ્યા હતા. પરંતુ ભારતીય સ્પિનરોએ મેચમાં શાનદાર વાપસી કરી. વરુણ ચક્રવર્તીએ પ્રથમ વિકેટ લીધી, ત્યારબાદ કુલદીપ યાદવે રચિન રવિન્દ્ર અને ખતરનાક કેન વિલિયમસનને વહેલા આઉટ કરીને કીવી ટીમ પર દબાણ વધાર્યું. કુલદીપ અને વરુણની સ્પિન જોડીએ ન્યુઝીલેન્ડની બેટિંગ લાઇનઅપને જકડી રાખી અને તેમને 252 રનમાં આઉટ કરી દીધા. આ ચુસ્ત બોલિંગના કારણે ભારત માટે જીતનો પાયો નાખવામાં આવ્યો.





  1. ભારતની રેકોર્ડ ઓપનિંગ ભાગીદારી:


252 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાને રોહિત શર્મા અને શુભમન ગીલે જોરદાર શરૂઆત અપાવી હતી. બંને બેટ્સમેનોએ ન્યુઝીલેન્ડના બોલરોને કોઈ તક આપી નહીં અને પ્રથમ વિકેટ માટે 105 રનની શાનદાર ભાગીદારી નોંધાવી. ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં ફાઇનલમાં પ્રથમ વિકેટ માટે આ ત્રીજી સૌથી મોટી ભાગીદારી હતી. આ રેકોર્ડ ભાગીદારીએ મધ્યમ ક્રમના બેટ્સમેનો પરથી દબાણ ઘટાડ્યું અને જીતને સરળ બનાવી.



  1. મિડલ ઓર્ડરનું યોગદાન:


રોહિત અને શુભમનની સારી શરૂઆત બાદ ભારતે 3 વિકેટ ઝડપથી ગુમાવી દીધી અને ટીમ થોડી દબાણમાં આવી ગઈ હતી. પરંતુ મિડલ ઓર્ડરના બેટ્સમેનોએ પરિસ્થિતિને સંભાળી લીધી. શ્રેયસ અય્યરે મહત્વપૂર્ણ 48 રન બનાવ્યા અને અક્ષર પટેલે 29 રનની ઉપયોગી ઇનિંગ રમી. છેલ્લી ઓવરોમાં હાર્દિક પંડ્યાએ 18 રનનું યોગદાન આપ્યું, જ્યારે કેએલ રાહુલે અણનમ 34 રન બનાવીને ટીમને વિજયી લક્ષ્ય સુધી પહોંચાડી. મિડલ ઓર્ડરની આ સામૂહિક પ્રયાસના કારણે ભારત ચેમ્પિયન બનવામાં સફળ રહ્યું.


આ પણ વાંચો...


ભારતની બેટિંગ પહેલા જ શોએબ અખ્તરની ભવિષ્યવાણીથી ફફડાટ, કહ્યું - 'જો આજે રોહિત શર્મા...'