નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડની ટીમ વચ્ચે હાલ ચાર ટેસ્ટ મેચોની સીરીઝ ચાલી રહી છે, જેમાં પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતને ઇંગ્લિશ ટીમે જબરદસ્ત હાર આપી છે. આ હારની સાથે ભારતીય ટીમનુ ટેસ્ટ ચેમ્પિયનશીપનુ સમીકરણ બદલાઇ ગયુ છે. ભારતને હવે ફાઇનલમાં પહોંચવા માટે ખાસ રણનીતિ અને જીત સાથે આગળ વધવુ પડશે. ખરેખરમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરીઝનુ પરિણામ આ બન્ને ટીમો ઉપરાંત ઓસ્ટ્રેલિયાની કિસ્મત પર પણ ફેંસલો કરશે.


ચેન્નાઇમાં ભારતની હારથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં રેસ વધુ રોચક બની ગઇ છે. ચેન્નાઇ ટેસ્ટમાં જીત બાદ ઇંગ્લેન્ડને હવે 70.2 ટકા પૉઇન્ટ ગઇ ગયા છે, અને તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પૉઇન્ટ ટેબલમાં પહેલા નંબર પર પહોંચી ગયુ છે, વળી ભારત પૉઇન્ટ ટેબલમાં ચોથા નંબર પર ગગડી ગયુ છે.

ભારત ભલે ઇંગ્લેન્ડ વિરુદ્ધ પહેલી ટેસ્ટ ગુમાવી ચૂક્યુ છે, પરંત હજુ પણ રેસમાં સામેલ છે. જો ભારત ઇંગ્લેન્ડ સામેની સીરીઝ 2-1 કે 3-1થી જીતી લે છે, તો ફાઇનલ માટે ક્વૉલિફાઇ કરી જશે.

જો ઇંગ્લેન્ડ સામે ભારત બાકીની ત્રણ મેચોમાંથી એકપણ મેચ હારી જશે તો તે ફાઇનલની રેસમાં બહાર નીકળી જશે. આનો અર્થ એ છે કે બાકીની ત્રણ ટેસ્ટમાંથી કમ સે કમ બે ટેસ્ટ જીતવી પડશે, અને એક ટેસ્ટ ડ્રૉ કરવી પડશે.