અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શનિવારે રાત્રે રમાયેલી પાંચમી અને અંતિમ ટી-20 મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 36 રનથી પરાજય આપીને 3-2 થી શ્રેણી જીતી લીધી હતી. ભારતે 20 ઓવરોમાં 2 વિકેટે 224 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઇંગ્લેન્ડે 20 ઓવરોમાં 8 વિકેટે 188 રન કર્યા હતા.


મેચમાં સૂર્યકુમાર યાદવ તોફાની અંદાજમાં બેટિંગ કરી હતી અને અડધી સદી તરફ આગળ વધી રહ્યો હતો પરંતુ જોર્ડનની શાનદાર ફિલ્ડે તેની તોફાની ઈનિંગનો અંત લાવી લીધો હતો. જોર્ડને બાઉડ્રી પર એવો શાનદાર કેચ કર્યો હતો કે સૂર્યકુમાર પણ જોઈને દંગ રહી ગયો હતો. જોર્ડને બાઉન્ડ્રી બહાર જોતા બોલને બાઉન્ડ્રી અંદર ફેકી દીધો હતો અને જેસોન રોયે કેચ પકડ્યો હતો. સૂર્યકુમારને આઉટ થયા બાદ નિરાશ થઈને પાછા ફરવું પડ્યું હતું.  17 બોલમાં 3 ફોર અને 2 સિક્સની મદદથી 32 રન બનાવ્યા હતા. 


 ક્રિસ જોર્ડનના આ પ્રયાસ પર બીસીસીઆઈએ પણ ટ્વીટ કરી હતી. BCCIએ લખ્યું હતું કે, સૂર્યકુમારની ઇનિંગ્સને સમાપ્ત કરવા માટે એક સ્પેશિયલ એફર્ટની જરૂર છે.   ICCએ પણ જોર્ડનની શાનદાર ફિલ્ડિંગને લઈને ટ્વિટ કરી હતી.



મેન ઓફ ધ મેચ કેપ્ટન કોહલી 52 બોલમાં અણનમ 80 અને રોહિત શર્મા 34 બોલમાં 4 ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે 64 રન ફટકારતા ભારતે 20 ઓવરોમાં 2 વિકેટે 224 રનનો મોટો સ્કોર ખડકયો હતો. 200 રન કર્યા પછી ભારત ટી-20 માં કયારેય હાર્યું નથી તે રેકોર્ડ અકબંધ રહ્યો હતો. વન ડાઉન સૂર્યકુમાર યાદવે 17 બોલમાં 32 રનની જોરદાર ઇનિંગ રમી હતી. તે પછી હાર્દિક પંડયાએ 17 બોલમાં 39 અણનમ રન સાથે કોહલીને સાથ આપ્યો હતો. બંનેએ 6.4 ઓવરોમાં 81 રન ઝૂડયા હતા.



ઇંગ્લેન્ડ તરફથી બટલર 34 બોલમાં બે ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 52 અને મલાન 46 બોલમાં 68 રન સાથે રમતા હતા ત્યારે જીતવાની આશા રાખતું હતું બંને 130 રનની ભાગીદારી 12.5 ઓવરોમાં નોંધાવી હતી. પણ તે પછી આ બંને ઉપરાંત બેરસ્ટો 7 અને કેપ્ટન મોર્ગન 1 રને આઉટ થતા ઇંગ્લેન્ડની હાર નિશ્ચત બની હતી. ભારત તરફથી શાર્દુલ ઠાકુરે ત્રણ વિકેટ, ભુવનેશ્વર કુમાર 2 વિકેટ, હાર્દિક પંડ્યા અને નટરાજને એક એક વિકેટ  ઝડપી હતી.