અમદાવાદઃ બીજી ટી20માં ધમાકેદાર જીત બાદ હવે સીરીઝમાં ભારત અને ઇંગ્લેન્ડ બન્ને ટીમો 1-1ની બરાબરી પર પહોંચી ચૂકી છે. હવે બાકીની ત્રણેય ટી20 પણ જીતીને ટીમ ઇન્ડિયા સીરીઝ પર કબજો જમાવવા માંગે છે. ત્યારે રિપોર્ટ છે કે ત્રીજી ટી20માં ફરી એકવાર મેદાન પર ભારતીય ટીમના તોફાની બેટ્સમેન રોહિત શર્માની વાપસી થવાની છે. ઉલ્લેખનીય છે કે પાંચ ટી20 મેચોની સીરીઝમાં પ્રથમ બે ટી20માંથી રોહિત શર્માને નિયમ પ્રમાણે આરામ આપવામાં આવ્યો હતો.


રોહિતની વાપસીથી ફરી એકવાર ટીમ ઇન્ડિયાની ઓપનિંગ જોડી દમદાર અને મજબૂત બની જશે. રોહિતની ગેરહાજરીમાં કોહલી એન્ડ ટીમ મેનેજમેન્ટે પ્રથમ ટી20માં શિખર ધવન અને કેએલ રાહુલને જવાબદારી સોંપી હતી, પરંતુ બન્ને નિષ્ફળ નિવડ્યા હતા. જ્યારે બીજી ટી20માં ધવનને બહાર રાખીને કેએલ રાહુલની સાથે ડેબ્યૂ ક્રિકેટર ઇશાન કિશનને મોકો આપવામા આવ્યો હતો. બીજી ટી20માં ફરી એકવાર કેએલ રાહુલ નિષ્ફળ નિવડ્યો જ્યારે ઇશાન કિશને શાનદાર ડેબ્યૂ ફિફ્ટી ફટાકરી છે. 


ત્રીજી ટી20 માટે રોહિત શર્માની વાપસી લગભગ નક્કી છે, ત્યારે ઓપનિંગમાં રોહિતની સાથે કયો બેટ્સમેન ઇનિંગની શરૂઆત કરશે તે જોવાનુ રહ્યું. 




સહેવાગે ઉઠાવ્યા સવાલો.....
એકદમ ફિટ હોવા છતાં રોહિત શર્મા પ્રથમ બે ટી20માં ટીમમાંથી બહાર રાખવાના મામલે પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે વિરાટ કોહલી સામે સવાલો ઉભા કર્યા હતા. જ્યારે સહેવાગને પુછવામા આવ્યુ કે રોહિતને કેમ ઓપનિંગમાંથી હટાવીને બહાર કરાયો છે, તો સહેવાગે આ નિયમની નિંદા કરી અને કેપ્ટન કોહલીને આડેહાથે લીધો હતો. ઉલ્લેખનીય છે કે રોહિત શર્માને આરામ આપવાના નિયમ હેઠળ ટી20 મેચોમાંથી બહાર રાખવામાં આવ્યો છે.


ક્રિકબઝના લાઇવ શૉમાં સહેવાગ આ નિયમ પર ગિન્નાયો, સહેવાગે કહ્યું- એવુ કહેવામાં આવ્યુ કે રોહિત શર્મા એક-બે મેચ આરામ કરશે, પરંતુ શું આ નિયમ કેપ્ટન વિરાટ પર લાગુ થાય છે? એક કેપ્ટન તરીકે મને નથી લાગતુ કે તે કહેશે કે હું આગાળની બે-ત્રણ મેચમાંથી બ્રેક લઉં. જો કેપ્ટન બ્રેક નથી લઇ રહ્યો, તો તે બીજાઓને કઇ રીતે બ્રેક આપી રહ્યો છે? આ ખેલાડી પર નિર્ભર હોવુ જોઇએ.


રોહિત શર્મા આજકાલ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તાજેતરમાં જ ઇંગ્લેન્ડ સામેની ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં રોહિતે જબરદસ્ત બેટિંગ કરી, આવામાં ટી20માં આરામ આપવાની વાત સમજાતી નથી. રોહિતને આરામ આપવાને લઇને સહેવાગે કહ્યું- સવાલ એ છે કે શું વિરાટ કોહલી ખુદને બ્રેક આપશે, જ્યારે રોહિત શર્મા ટીમમાં વાપસી કરશે? રોહિત, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહને વિરાટ કોહલી આરામ આપે છે? પરંતુ ખુદ પર આ નિયમ લાગુ નથી થતો.