IND vs NZ ફાઇનલ: ક્રિકેટના મહાકુંભ સમાન ટી-20 વર્લ્ડ કપ 2026 ની અંતિમ અને સૌથી મોટી ટાઇટલ મેચ આજ રોજ અમદાવાદના આંગણે રમાઈ રહી છે. આ મેચમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલી ટીમ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે સીધી ટક્કર છે. આ હાઈ-વોલ્ટેજ ડ્રામા માટે સિક્કો ઉછળ્યો છે અને ન્યુઝીલેન્ડના સુકાની મિશેલ સેન્ટનરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ નવાઈની વાત એ છે કે ટોસ હારવા છતાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવના ચહેરા પર એક અલગ જ ખુશી જોવા મળી હતી. તેનું કારણ જણાવતા સૂર્યાએ કહ્યું કે જો તે ટોસ જીત્યો હોત તો પણ તે પહેલા બેટિંગ જ પસંદ કરત. એટલે કે બંને ટીમોને જે જોઈતું હતું તે મળી ગયું છે અને હવે વિશ્વ વિજેતા બનવા માટે એક રોમાંચક જંગનો મંચ તૈયાર છે.

પ્લેઇંગ 11 માં કોઈ જ ફેરફાર નહીં, કોચનો ખેલાડીઓ પર ભરોસો

જ્યારે પણ ફાઇનલ જેવી મોટી મેચ હોય ત્યારે ખેલાડીઓ પર દબાણ ઘણું હોય છે, પરંતુ ભારતીય ટીમ મેનેજમેન્ટે પોતાના વીર ખેલાડીઓ પર પૂરો ભરોસો બતાવ્યો છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવે પ્લેઇંગ 11 માં એક પણ ફેરફાર કર્યો નથી. સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે જે 11 યોદ્ધાઓ મેદાનમાં ઉતર્યા હતા, તેઓ જ આજના ફાઇનલ મુકાબલામાં કીવીઓનો સામનો કરશે. મેચ પહેલા એવી અટકળો ચાલી રહી હતી કે વરુણ ચક્રવર્તીને કદાચ પડતો મુકવામાં આવી શકે છે, કારણ કે ઇંગ્લેન્ડ સામેની મેચમાં તે ઘણો મોંઘો સાબિત થયો હતો અને તેણે ઘણા રન લૂંટાવ્યા હતા. તેમ છતાં, કેપ્ટન અને મેનેજમેન્ટે એક ખરાબ મેચના આધારે કોઈ આકરો નિર્ણય લેવાને બદલે તેના પર વિશ્વાસ જાળવી રાખ્યો છે.

Continues below advertisement

Continues below advertisement

વર્લ્ડ કપ 2026 માં ટીમ ઇન્ડિયાની અદભુત સફર

આ ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની સફર પર નજર કરીએ તો તે અત્યંત ગૌરવશાળી રહી છે. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ભારતીય ખેલાડીઓએ અદભુત રમતનું પ્રદર્શન કર્યું છે. ટીમ ઇન્ડિયાએ અત્યાર સુધીમાં કુલ 8 મેચ રમી છે, જેમાંથી 7 મેચમાં વિજય પતાકા લહેરાવી છે. માત્ર સુપર 8 ના તબક્કામાં દક્ષિણ આફ્રિકા સામે તેમને એકમાત્ર હારનો સામનો કરવો પડ્યો હતો. તે મેચને બાદ કરતા ભારતીય ટીમે વિરોધીઓને માથું ઊંચકવાની કોઈ તક આપી નથી. ખાસ કરીને રોમાંચક સેમિફાઇનલમાં જે રીતે ઇંગ્લેન્ડને 7 રનથી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી, તેણે સાબિત કરી દીધું કે આ ટીમ કોઈપણ પરિસ્થિતિમાં લડતા સારી રીતે જાણે છે.

અમદાવાદની પીચ કોને આપશે સાથ?

હવે વાત કરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ વિશે, જે આજના મુકાબલામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. આ મહામુકાબલા માટે મેદાન પર લાલ અને કાળી માટીના મિશ્રણ વાળી ખાસ પીચ તૈયાર કરવામાં આવી છે. આ પીચ પર થોડું લીલું ઘાસ પણ છોડવામાં આવ્યું છે. આનો સીધો ફાયદો શરૂઆતી ઓવરોમાં ઝડપી બોલરોને મળશે, જેઓ બોલને સારી રીતે સ્વિંગ કરાવી શકશે. જોકે, જેમ જેમ મેચ આગળ વધશે તેમ મધ્યમ ઓવરોમાં સ્પિનરો પણ પોતાનો જાદુ બતાવી શકે છે. નિષ્ણાતોના મતે આ પીચ બેટિંગ માટે ખૂબ જ અનુકૂળ છે, તેથી દર્શકોને ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ જોવા મળવાની પૂરી શક્યતા છે.

બંને ટીમોના 11 લડવૈયાઓ

  • ભારતીય ટીમ: અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ.

ન્યુઝીલેન્ડ ટીમ: ટિમ સીફર્ટ (વિકેટકીપર), ફિન એલન, રચિન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, ડેરિલ મિશેલ, જેમ્સ નીશમ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન, જેકબ ડફી.