India vs England 4th Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ રાંચીના JSCA ઈન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પ્લેક્સમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ મળ્યો છે. ઈંગ્લેન્ડે ભારતને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટાર્ગેટનો પીછો કરતા ભારતે ત્રીજા દિવસે (25 ફેબ્રુઆરી) સ્ટમ્પ સુધી કોઈ પણ નુકશાન વિના 40 રન બનાવ્યા હતા.


 






રોહિત શર્મા  સરફરાઝ ખાન પર ગુસ્સે થઈ ગયો


મેચના ત્રીજા દિવસે ભારતીય કેપ્ટન રોહિત શર્મા સાથી ખેલાડી સરફરાઝ ખાન પર ગુસ્સે થઈ ગયો હતો. નારાજગીનું કારણ પણ હતું, કારણ કે સરફરાઝ હેલ્મેટ પહેર્યા વિના ક્લોઝ-ઇન પોઝીશનમાં ફિલ્ડ કરવા માટે ઊભો હતો. રોહિત દ્વારા ઠપકો આપ્યા બાદ સરફરાઝ હેલ્મેટ પહેરીને મેદાનમાં ઉતર્યો હતો.


આ સમગ્ર ઘટના ઈંગ્લેન્ડની બીજી ઈનિંગની 47મી ઓવરમાં બની હતી. ત્યારે કુલદીપ યાદવ બોલિંગ કરી રહ્યો હતો. ચોથા બોલ પહેલા, રોહિતે સરફરાઝને મિડ-ઓફ ક્ષેત્રમાંથી સિલી મિડ-ઓફ પર ફિલ્ડ કરવા માટે બોલાવ્યો. રોહિતની વિનંતી પર, સરફરાઝ હેલ્મેટ પહેર્યા વિના સિલી મિડ-ઓફ પર ઊભો રહ્યો. સરફરાઝે પોતાના કેપ્ટનને મનાવવાનો પ્રયાસ કર્યો, જેના પર રોહિતે તેને ઠપકો આપતા કહ્યું, 'ઓયે, હીરો નહીં બનને કા.'


દિલ્હી પોલીસનું ટ્વીટ વાયરલ


 






આ ઉપરાંત અમ્પાયર કુમાર ધરમસેનાએ પણ દરમિયાનગીરી કરી અને સરફરાઝને હેલ્મેટ પહેરવા કહ્યું. ક્લોઝ-ઇન પોઝિશનમાં ફિલ્ડિંગ કરતી વખતે હેલ્મેટ ફરજિયાત છે. આ ઘટનાને લઈને દિલ્હી પોલીસે એક ખાસ ટ્વીટ પણ કર્યું છે. આ ઘટનાનો વીડિયો શેર કરતા દિલ્હીએ લખ્યું, 'ટુ-વ્હીલર પર હીરો નહીં બનને કા. હંમેશા હેલ્મેટ પહેનને કા.


બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડ 145 રનમાં ઓલ આઉટ


રાંચી ટેસ્ટના ત્રીજા દિવસે ઈંગ્લેન્ડનો બીજો દાવ 145 રનમાં સમેટાઈ ગયો હતો. પ્રથમ દાવના આધારે ઈંગ્લેન્ડને 46 રનની લીડ મળી હતી. આ રીતે ભારતીય ટીમને 192 રનનો ટાર્ગેટ મળ્યો છે. ભારત તરફથી રવિ અશ્વિન સૌથી સફળ બોલર રહ્યો હતો. રવિ અશ્વિને ઈંગ્લેન્ડના 5 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. જ્યારે કુલદીપ યાદવે 4 વિકેટ લીધી હતી. રવિન્દ્ર જાડેજાએ 1 વિકેટ પોતાના નામે કરી હતી. તો બીજા દાવમાં ભારતીય ટીમે વિના વિકેટે 40 રન બનાવી લીધા છે. આમ ભારતને જીતવા માટે હવે 152 રનની જરુર છે. રોહિત શર્મા 24 રને અને યશસ્વી જયસ્વાલ 16 રને નોટ આઉટ રહ્યા છે.