નવી દિલ્હીઃ બીજી વનડે મેચ આવતીકાલે પુણેમાં રમાવવાની છે. પ્રથમ વનડેમાં જીત મેળવીને ભારતીય ટીમે ત્રણ મેચોની વનડે સીરીઝમાં 1-0થી લીડ બનાવી લીધી છે, ત્યારે  બીજી વનડે ઇંગ્લેન્ડ માટે કરો યા મરોનો જંગ બની જશે. રિપોર્ટ છે કે ઇંગ્લેન્ડને બીજી વનડેમાં મોટો ફટકો લાગી શકે છે, કેપ્ટન ઇયૉન મોર્ગન અને સેમ બિલિંગ્સ ઇજાના કારણે બીજી વનડે ગુમાવી શકે છે. શુક્રવારની મેચ રમવા માટે બન્ને શંકાસ્પદ છે. 


મહેમાન ટીમને પ્રથમ વનડેમાં 66 રનોથી હારનો સામનો કરવો પડ્યો હતો, હવે બીજી વનડેમાં બે દિગ્ગજો વિના મેદાનમાં ઉતરવુ પડી શકે છે. ઇંગ્લિશ ટીમ માટે આ કપળો સમય છે. રિપોર્ટ પ્રમાણે કેપ્ટન ઇયૉન મોર્ગનને અંગુઠા અને આંગળીની વચ્ચેના ભાગે ઇજા પહોંચતા, ટાંકા લેવા પડ્યા હતા. વળી બીજી બાજુ સેમ બિલિંગ્સને પ્રથમ મેચમાં ફિલ્ડિંગ દરમિયાન બાઉન્ડ્રી રોકવા જતા ડાઇવ લગાતી વખતે કૉલરબૉનમાં ઇજા થઇ હતી. ઉલ્લેખનીય છે કે, ઇજા થઇ હોવા છતાં બન્ને ખેલાડીઓ ભારત સામે બેટિંગ કરવા ઉતર્યા હતા. 


મોર્ગને મેચ બાદ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું- અમારે 48 કલાક વધુ રાહ જોવી પડશે, કેમકે ઇજા કેટલી ગંભીર રહે છે. શુક્રવારે  મેચ રમવા માટે અમે વધુમાં વધુ સમય આપવા માંગીએ છીએ. 


મોર્ગને કહ્યું- ઇજાગ્રસ્ત હોવાના કારણે તે બેટિંગમાં 100 ટકા નથી આપી શક્યો, જેની અસર ફિલ્ડિંગ પર પણ પડશે.  ભારતના 318 રનોના લક્ષ્ય સામે ઇંગ્લેન્ડની ટીમ માત્ર 251 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી. આ દરમિયાન મોર્ગને 22 અને બિલિંગ્સે 18 રન બનાવ્યા હતા. મોર્ગને કહ્યું મે સેમ સાથે તેની બેટિંગને લઇને વાત નથી કરી, એટલે હું તેના વિશે નથી જાણતો. મોર્ગેને એમ પણ કહ્યું કે, તે પોતાના મોટાભાગના ખેલાડીઓને મોકો આપવા માગશે, જેનો અર્થ છે કે મેટ પાર્કિસન, રીસ ટૉપ્લે અને અનકેપ્ડ લિયામ લિવિંસ્ટૉન માટે પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા પાક્કી થઇ શકે છે.