નવી દિલ્હીઃ આઈપીએલ 2021માં ચેન્નઈ સુપર કિંગ્સને ચોથી વખત વિજેતા બનાવારા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. સીએસકેના ઓફિસિયલે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે, ઓક્શનમાં પ્રથમ રીટેંશન કાર્ડ ધોની માટે વપરાશે.


માહી ફરી એકવાર આગામી વર્ષે CSK ની કેપ્ટનશિપ કરતા જોવા મળી શકે છે. આઇપીએલમાં ગયા વર્ષથી ધોનીનું બેટ લગભગ શાંત છે. જે પછી આવતા વર્ષે પીળી જર્સીમાં તેના દેખાવ અંગે અટકળોનો રાઉન્ડ શરૂ થયો હતો. જોકે કેપ્ટન કૂલે આ વખતે પોતાનું ચોથું આઈપીએલ ટાઇટલ જીતવાની સાથે જ લગભગ તમામ અટકળો પર પડદો પાડી દીધો છે.






મેચ બાદ કોમેન્ટેટર હર્ષ ભોગલે ધોનીને આવતા વર્ષે CSK ના કેપ્ટન તરીકે પરત ફરવા પર એક પ્રશ્ન પૂછ્યો હતો. જવાબમાં ધોનીએ કહ્યું, "પ્રશ્ન એ નથી કે હું આવતા વર્ષે ચેન્નાઈ માટે રમીશ કે નહીં. પ્રશ્ન એ છે કે ટીમ માટે શું શ્રેષ્ઠ છે. આપણે એવી ટીમને જોવાની છે જે તેને આગામી દસ વર્ષ આગળ લઈ જઈ શકે. ટીમના હિતમાં શું છે તે આપણે જોવાનું છે."


આ પછી ભોગલે ધોનીને કહ્યું કે 'તમે ચેન્નઈની ટીમ માટે એક વિશાળ વારસો પાછળ છોડી રહ્યા છો.' તેના જવાબમાં ધોની તરત જ હસી પડ્યો અને કહ્યું, "મેં હજી છોડ્યું નથી." ધોનીને આઈસીસી ટી 20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના માર્ગદર્શક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એવી અપેક્ષા છે કે તેની આઈપીએલની સફળતા સાથે, તે ટીમ ઇન્ડિયાને વર્લ્ડ કપમાં પણ ખિતાબ મેળવવામાં મદદ કરી શકશે.


ધોનીની કારકિર્દીની આ 300મી ટી-20ની મેચ કેપ્ટન તરીકેની હતી. ધોની આઈપીએલની 228 મેચમાં કેપ્ટન રહ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી તેણે 214 મેચમાં કેપ્ટનશિપ કરી છે. 200થી વધુ મેચમાં તેની સિવાય વેસ્ટ ઈન્ડિઝના ડેરેન સેમીએ જ કેપ્ટનશિપ કરી છે.  300 ટી20 મેચમાં કેપ્ટનશિપ કરનારો તે એકમાત્ર ખેલાડી છે. 40 વર્ષીય ધોની 10 વખત આઈપીએલમાં કેપ્ટનશિપ કરી ચુક્યો છે. જેમાં નવ વખત સીએસકે અને એક વખત સુપર જાયન્ટ્સનો કેપ્ટન રહ્યો છે. ધોનીએ જાન્યુઆરી 2017માં ટી20ની કેપ્ટનશિપ છોડી દીધી હતી. ધોનીની આગેવાનીમાં ભારતે 2007માં સાઉથ આફ્રિકામાં રમાયેલ પ્રથમ ટી20 વિશ્વકપ કબજે કર્યો હતો. ધોનીએ ભારત માટે 72 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં આગેવાની કરી જેમાં 41માં જીત અને 28 મુકાબલામાં હાર મળી છે. એક મેચ ટાઈ રહી છે જ્યારે બે મેચનું પરિણામ આવ્યું નથી.