T20 World Cup 2026: ટી20 વિશ્વ કપ વચ્ચે મોટું સંકટ, ઇઝરાયલ-ઈરાન યુદ્ધને કારણે ફસાયા આ દેશના ખેલાડીઓ
T20 World Cup 2026: ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવની અસર હવે ટી20 વર્લ્ડ કપ પર પડી રહી છે. ટૂર્નામેન્ટમાંથી પહેલાથી જ બહાર થઈ ગયેલી ઝિમ્બાબ્વે ટીમ દુબઈ એરપોર્ટ પર ફ્લાઇટ ખોરવાઈ જવાને કારણે ભારતમાં ફસાયેલી છે.

T20 World Cup 2026: ટી20 વર્લ્ડ કપ 2026 વચ્ચે પશ્ચિમ એશિયામાં વધતા તણાવની અસર હવે ક્રિકેટ ટીમોની મુસાફરી પર પણ દેખાવા લાગી છે. ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયેલી ઝિમ્બાબ્વેની ટીમ હાલ ભારતમાં જ રોકાવા મજબૂર બની છે, કારણ કે દુબઈ એરપોર્ટના સંચાલન પર અસર પડવાને કારણે તેમની ઘરે પરત ફરવાની યોજના અટકી ગઈ છે.
સુપર-8 તબક્કાના પોતાના છેલ્લા મુકાબલામાં ઝિમ્બાબ્વેને સાઉથ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારની સાથે જ ટીમની T20 વર્લ્ડ કપની સફર પૂરી થઈ ગઈ હતી અને ખેલાડીઓ સ્વદેશ પરત ફરવાની તૈયારીમાં હતા. કેપ્ટન સિકંદર રઝાની આગેવાની હેઠળની ટીમના ઘણા ખેલાડીઓને દિલ્હીથી અલગ-અલગ ફ્લાઈટ્સ દ્વારા દુબઈ થઈને ઝિમ્બાબ્વે પહોંચવાનું હતું.
અચાનક બદલાયા સંજોગો, મુસાફરીની યોજના સ્થગિત
પરંતુ સંજોગો અચાનક બદલાઈ ગયા. પશ્ચિમ એશિયામાં ઈઝરાયેલ-ઈરાન વચ્ચે તણાવ વધ્યા બાદ દુબઈ એરપોર્ટથી ઘણી ફ્લાઈટ્સના શિડ્યુલ પર અસર પડી છે. ઝિમ્બાબ્વેના મુખ્ય કોચ જસ્ટિન સેમન્સે જણાવ્યું કે વર્તમાન સ્થિતિને જોતા ટીમની ટ્રાવેલ પ્લાનિંગને હાલ પૂરતું ટાળી દેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ખેલાડીઓ માટે આ સ્થિતિ માનસિક રીતે પડકારજનક ચોક્કસ છે, પરંતુ મેદાન પર તેમનું પૂરૂ ધ્યાન મેચ પર જ હતું.
ટીમના ઓલરાઉન્ડર ગ્રીમ ક્રીમર દુબઈમાં રહે છે, તેથી તેમના માટે પણ સ્થિતિ અનિશ્ચિત બનેલી છે. ઝિમ્બાબ્વે ટીમના મોટાભાગના ખેલાડીઓએ દુબઈથી કનેક્ટિંગ ફ્લાઈટ લઈને આગળની મુસાફરી કરવાની હતી, જે હવે શક્ય બની રહી નથી.
ICC વૈકલ્પિક વ્યવસ્થા પર કામ કરી રહ્યું છે
આ દરમિયાન ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ પણ આ બાબતને ગંભીરતાથી લીધી છે. બોર્ડે સંકેત આપ્યા છે કે ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને સુરક્ષિત રીતે તેમના દેશ પહોંચાડવા માટે વૈકલ્પિક ફ્લાઈટ્સની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અહેવાલો મુજબ, ઈથોપિયાના અદીસ અબાબાના રસ્તે પણ ટીમની વાપસી કરાવવામાં આવી શકે છે.
અન્ય ટીમો પર પણ દેખાઈ રહી છે અસર
બીજી તરફ, ન્યૂઝીલેન્ડ સામે સેમીફાઈનલ રમવા જઈ રહેલી સાઉથ આફ્રિકાની ટીમના મુખ્ય કોચ શુક્રી કોનરાડે પણ સ્વીકાર્યું કે વર્તમાન પરિસ્થિતિ ખેલાડીઓ વચ્ચે ચર્ચાનો વિષય બનેલી છે. જોકે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ટીમ મેનેજમેન્ટ અને ICC આ સમસ્યાનો જલ્દી ઉકેલ શોધી લેશે. ક્રિકેટના મેદાનથી દૂર આ જંગ હવે ખેલાડીઓની મુસાફરી પર અસર કરી રહી છે, અને ઝિમ્બાબ્વે ટીમની ઘર વાપસી હાલમાં રાહમાં અટવાયેલી છે.




















