Jasprit Bumrah ruled out of T20 World Cup: ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ વાતની પુષ્ટિ કરી છે. BCCIની મેડિકલ ટીમે સ્પષ્ટ કર્યું છે કે, જસપ્રીત બુમરાહ વર્લ્ડ કપ રમવા માટે ફીટ નથી. બીસીસીઆઈ ટૂંક સમયમાં બુમરાહના સ્થાને આવનાર ખેલાડીનું નામ આઈસીસીને મોકલશે.


BCCIએ કરી પુષ્ટીઃ


BCCIએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, “મેડિકલ ટીમે માહિતી આપી છે કે, જસપ્રીત બુમરાહ ICC T20 વર્લ્ડ કપ માટે ફિટ નથી. બુમરાહની ફિટનેસ અંગે નિષ્ણાતોની સલાહ લેવામાં આવી હતી. બુમરાહ અગાઉ પીઠના દુખાવાના કારણે દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની T20I શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. પરંતુ હવે બીસીસીઆઈ ટૂંક સમયમાં વર્લ્ડ કપ માટે બુમરાહના સ્થાનની જાહેરાત કરશે.






તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા જ ખબર પડી હતી કે જસપ્રીત બુમરાહની ઈજા ગંભીર છે અને તે વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાનો ભાગ બની શકશે નહીં. પરંતુ BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે, બુમરાહની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે અને તે વર્લ્ડ કપ રમી શકે છે.


બુમરાહના રિપ્લેસમેન્ટમાં આ ખેલાડી આવી શકેઃ


પરંતુ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપમાં પોતાના નંબર વન બોલર વગર જ મેદાનમાં ઉતરવું પડશે. બુમરાહના રિપ્લેસમેન્ટની વાત કરીએ તો, રિઝર્વ ખેલાડીઓની યાદીમાં સામેલ મોહમ્મદ શમી ટીમમાં પોતાનું સ્થાન લઈ શકે છે. મોહમ્મદ શમી 6 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા જવા રવાના થાય તેવી શક્યતા છે.


બુમરાહના સ્થાને મોહમ્મદ સિરાજનું નામ પણ સામે આવ્યું હતું. પરંતુ સિરાજની દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણી માટે પણ પસંદગી કરવામાં આવી છે. જો કે સિરાજને વર્લ્ડ કપ માટે રિઝર્વ ખેલાડીઓમાં જગ્યા મળવાની શક્યતા છે. આ સિવાય ત્રણ વધારાના ફાસ્ટ બોલર પણ ટીમની ટ્રેનિંગ માટે ઓસ્ટ્રેલિયા જશે જેમાં કુલદીપ સેન, મુકેશ ચૌધરી અને ચેતન સાકરિયા ટીમ ઈન્ડિયાના ટ્રેનિંગ સેશન માટે 6 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે.