Krishnappa Gowtham retirement: ભારતીય ઘરેલુ ક્રિકેટ અને IPL માં પોતાના ઓલરાઉન્ડ પ્રદર્શનથી જાણીતા કર્ણાટકના કૃષ્ણપ્પા ગૌતમ (Krishnappa Gowtham) એ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સન્યાસ લઈ લીધો છે. IPLના અનુભવી કૃષ્ણપ્પા ગૌથમે નિવૃત્તિ લીધી છે, જેની સાથે તેમની 14 વર્ષની ક્રિકેટ કારકિર્દીનો અંત આવ્યો છે. તેઓ પોતાની આક્રમક બેટિંગ અને શાનદાર ઓફ-સ્પિન બોલિંગ માટે હંમેશા યાદ રહેશે.
કર્ણાટકના અનુભવી ક્રિકેટર અને આઈપીએલના જાણીતા ચહેરા કૃષ્ણપ્પા ગૌતમે પોતાની લાંબી ઈનિંગ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. લગભગ દોઢ દાયકા સુધી મેદાન પર પરસેવો પાડ્યા બાદ હવે તેમણે ક્રિકેટને અલવિદા કહી દીધું છે.
ધમાકેદાર ડેબ્યૂ અને ઘરેલુ કારકિર્દી
ગૌતમે વર્ષ 2012 માં રણજી ટ્રોફી દ્વારા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તેમની શરૂઆત જ અત્યંત યાદગાર રહી હતી. ઉત્તર પ્રદેશ સામેની પોતાની ડેબ્યૂ મેચમાં જ તેમણે સુરેશ રૈના અને ભુવનેશ્વર કુમાર જેવા દિગ્ગજ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની વિકેટ ઝડપીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
ટર્નિંગ પોઈન્ટ: 2016-17 ની રણજી સીઝન તેમની કારકિર્દી માટે મહત્વની સાબિત થઈ હતી, જેમાં તેમણે 8 મેચમાં 27 વિકેટ ઝડપી હતી. આસામ સામેની મેચમાં તેમણે પોતાની પ્રથમ સદી ફટકારીને બેટિંગ ક્ષમતા પણ સાબિત કરી હતી.
આંકડા: પોતાની કારકિર્દીમાં ગૌતમે 59 ફર્સ્ટ ક્લાસ મેચમાં 224 વિકેટ, 68 લિસ્ટ-A મેચમાં 96 વિકેટ અને 92 T20 મેચમાં 74 વિકેટ ઝડપી છે.
IPL અને 9 કરોડની બોલી
કૃષ્ણપ્પા ગૌતમ IPL માં એક જાણીતું નામ રહ્યું છે. તેઓ મુંબઈ ઈન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) જેવી મોટી ફ્રેન્ચાઈઝીનો હિસ્સો રહ્યા હતા. ખાસ કરીને જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ CSK એ તેમને ₹9.25 Crore જેવી જંગી રકમમાં ખરીદ્યા હતા, ત્યારે તેઓ રાતોરાત ચર્ચામાં આવી ગયા હતા. તેઓ લગભગ 9 વર્ષ સુધી આ લીગનો ભાગ રહ્યા.
આંતરરાષ્ટ્રીય સફર: માત્ર 1 મેચ
ભલે ઘરેલુ ક્રિકેટ અને IPL માં તેમનો રેકોર્ડ સારો રહ્યો, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે તેમને વધુ તકો મળી નહીં. વર્ષ 2021 માં જ્યારે ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસે ગઈ હતી, ત્યારે શિખર ધવનની કેપ્ટનશીપમાં તેમને ભારત તરફથી ODI ડેબ્યૂ કરવાની તક મળી હતી. આ એકમાત્ર મેચમાં તેમણે 1 વિકેટ લીધી હતી અને 2 રન બનાવ્યા હતા. કમનસીબે, ત્યારપછી તેઓ ક્યારેય બ્લુ જર્સીમાં રમતા જોવા મળ્યા નહીં.