નવી દિલ્હીઃ ભારત સામે ટી-20 સીરિઝ ગુમાવ્યા બાદ ન્યૂઝિલેન્ડની વન-ડે ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટી-20 સીરિઝ બાદ પાંચ ફેબ્રુઆરીથી ટીમ ઇન્ડિયા સામે યોજાનારી ત્રણ મેચની વન-ડે સીરિઝ માટેની ન્યૂઝિલેન્ડ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ન્યૂઝિલેન્ડે આ સીરિઝ માટે  છ ફૂટ અને આઠ ઇંચ ઉંચા ઝડપી બોલર કાઇલ જેમીનસનો ટીમમાં  સમાવેશ કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે સિવાય સ્કોટ કુજેગલિન અને હામિશ બેનેટને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. બેનેટે અને કુજેગલીને છેલ્લી વન-ડે મેચ 2017માં આયરલેન્ડના  પ્રવાસ દરમિયાન રમી હતી.


જેમીનસને લોકી ફર્ગ્યૂસનના સ્થાને ટીમમાં સામેલ કરાયો છે. ફર્ગ્યૂસન ઇજાગ્રસ્ત છે. તે સિવાય ટ્રેટ બોલ્ડ અને મૈટ હેનરીને આ સીરિઝમાં સ્થાન અપાયું નથી. બંન્ને ખેલાડી હાલમાં  ઇજાગ્રસ્ત છે. ન્યૂઝિલેન્ડની ટીમે છેલ્લા વર્ષે જૂલાઇમાં થયેલા વર્લ્ડકપ બાદ પોતાની પ્રથમ વન-ડે મેચ રમશે. પ્રથમ વન-ડે પાંચ ફેબ્રુઆરીના રોજ રમાશે.