Ravichandran Ashwin Back In Team India: ભારતના સ્ટાર ખેલાડી રવિચંદ્રન અશ્વિને બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024-25 (BGT 2024-25) દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. અશ્વિને તાજેતરમાં જ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી પણ નિવૃત્તિ લીધી હતી. હવે, અશ્વિને ફરી એકવાર ટીમ ઇન્ડિયાની જર્સી પહેરીને રમવાનું નક્કી કર્યું છે. અશ્વિને પોતે પુષ્ટિ આપી છે કે તે હોંગકોંગ સિક્સીસ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ માટે રમશે.
રવિચંદ્રન અશ્વિનની વાપસી
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિન IPLમાંથી નિવૃત્તિ લીધા પછી નવી ઇનિંગ શરૂ કરવા માટે તૈયાર છે. તે હવે વિશ્વની કોઈપણ ક્રિકેટ લીગમાં રમી શકે છે. અશ્વિન માટે આ નવી સફર હોંગકોંગ સિક્સીસ ટુર્નામેન્ટથી શરૂ થશે. આ ટુર્નામેન્ટમાં ઘણા દિગ્ગજ ભારતીય ખેલાડીઓએ અગાઉ ભાગ લીધો છે. સચિન તેંડુલકર, મહેન્દ્ર સિંહ ધોની, દિનેશ કાર્તિક અને અનિલ કુંબલે આ ટુર્નામેન્ટમાં રમી ચૂક્યા છે, અને હવે રવિચંદ્રન અશ્વિન પણ તેમાં રમવા માટે તૈયાર છે.
હોંગકોંગ સિક્સીસ ટુર્નામેન્ટ 7 થી 9 નવેમ્બર દરમિયાન રમાશે. ક્રિકેટ હોંગકોંગ ચાઇનાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સે પણ અશ્વિનના ટુર્નામેન્ટમાં ભાગ લેવાની જાહેરાત કરી છે. આ નવા ફોર્મેટ અંગે, અશ્વિને કહ્યું કે આ ફોર્મેટ માટે એક અલગ વ્યૂહરચનાની જરૂર પડશે અને ટુર્નામેન્ટ ખૂબ જ રોમાંચક રહેશે. અશ્વિને તેના જૂના સાથી ખેલાડીઓ સાથે રમવા અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો.
અશ્વિને 14 વર્ષની લાંબી આંતરરાષ્ટ્રીય કારકિર્દી સમાપ્ત કરી હતી
રવિચંદ્રન અશ્વિને પોતાની 14 વર્ષની લાંબી આંતરરાષ્ટ્રીય કારકિર્દી સમાપ્ત કરી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા ગાબા ટેસ્ટ બાદ આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં તેણે નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ ઐતિહાસિક કારકિર્દીમાં તેણે 700થી વધુ વિકેટ, 4 હજારથી વધુ રન અને 6 સદીની ઇનિંગ્સ પણ રમી હતી. ભારતીય ટીમના સ્ટાર સ્પિન ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈને ચાહકો અને અનુભવી ક્રિકેટરોને ચોંકાવી દીધા હતા.