Rishabh Pant Car Accident: ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર ઋષભ પંતના કાર અકસ્માત કેસમાં હવે એક મોટો ખુલાસો સામે આવ્યો છે. પંતે પોતે આ ખુલાસો કર્યો છે. અકસ્માત બાદ જ્યારે પંતને રૂડકીની સક્ષમ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. તે સમયે પંતે કહ્યું હતું કે ઝોકુ આવી જતા તેની કાર ડિવાઇડર સાથે અથડાઇ હતી.






રૂડકી બાદ ઋષભ પંતને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. પંતને મળવા માટે દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની એક ટીમ પણ અહીં પહોંચી છે. આ દરમિયાન ઋષભ પંતે ડીડીસીએના ડિરેક્ટર શ્યામ શર્માને મળીને નવો ખુલાસો કર્યો છે. શ્યામ શર્માએ એજન્સીને આ માહિતી આપી છે.






ખાડાથી બચવાના પ્રયાસમાં અકસ્માત થયો હતો.


જ્યારે શ્યામ શર્મા પંતને તેના ખબરઅંતર પૂછવા પહોચ્યા ત્યારે  અકસ્માત કેવી રીતે થયો? તેના વિશે પણ વાત કરી હતી. તેના પર પંતે ખુલાસો કર્યો કે ખાડો સામે આવી જતા તેનાથી બચવા માટે આ અકસ્માત થયો હતો. વાસ્તવમાં શ્યામ શર્માને પૂછવામાં આવ્યું હતું કે પંતે અકસ્માતનું શું કારણ આપ્યું? જેના પર ડીડીસીએના ડિરેક્ટરે એજન્સીને કહ્યું હતું કે  'રાતનો સમય હતો... રસ્તા પર ખાડો આવી જતા તેનાથી બચવાના પ્રયાસમાં આ થયું'.


BCCI પંતની સારવાર અંગે નિર્ણય લેશે


શ્યામ શર્માએ કહ્યું હતું કે પંતને અત્યારે એરલિફ્ટ કરવાની જરૂર નથી. હાલ તેમને દિલ્હી શિફ્ટ કરવામાં આવશે નહીં. જો પંતને સારવાર માટે લંડન લઈ જવો પડશે તો તે બીસીસીઆઈ દ્વારા નક્કી કરવામાં આવશે. BCCI પંતને ગમે ત્યાં શિફ્ટ કરવાનો નિર્ણય લેશે. બીસીસીઆઈ તમામ ડોક્ટરોના સંપર્કમાં છે.


ડીડીસીએના સંયુક્ત સચિવ રાજન મનચંદાએ કહ્યું હતું કે 'પંતના અત્યાર સુધીના રિપોર્ટ અનુસાર, તેને ગંભીર ઈજા થઈ નથી. અમને આશા છે કે પંત 2 મહિનામાં મેદાનમાં આવી જશે. DDCAના ડિરેક્ટર શ્યામ શર્મા પંતને મળવા દેહરાદૂન પહોંચ્યા છે અને BCCI પંતને શ્રેષ્ઠ સારવાર આપી રહ્યું છે.