BCCI : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર છતાં રોહિત શર્માની કેપ્ટનશિપ પર કોઈ ખતરો નથી. બીજા શબ્દોમાં કહીએ તો ભારતીય ક્રિકેટ બોર્ડને હિટમેન પર પૂરો વિશ્વાસ છે. ભારતીય ટીમ આવતા મહિને વેસ્ટ ઈન્ડિઝના લાંબા પ્રવાસ માટે રવાના થવાની છે. જ્યાં બે ટેસ્ટ, ત્રણ વનડે અને ચાર T20 ઈન્ટરનેશનલ મેચ રમાશે. આ દરમિયાન ટેસ્ટ સિરીઝમાં માત્ર રોહિત જ ટીમની કમાન સંભાળશે. જો કે, જો રોહિત ડોમિનિકા અથવા પોર્ટ ઓફ સ્પેનમાં (20 થી 24 જુલાઈ) યોજાનારી બીજી ટેસ્ટમાં કોઈ મોટી ઇનિંગ્સ નહીં રમે, તો BCCI ટોચના અધિકારીઓ અને રાષ્ટ્રીય પસંદગી સમિતિ પર આકરો નિર્ણય લેવાનું દબાણ હશે.


બીસીસીઆઈના એક વરિષ્ઠ સૂત્રએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે, આ પાયાવિહોણી વાતો છે કે, રોહિતને સુકાનીપદેથી હટાવવામાં આવશે. હા, શું તે સંપૂર્ણ બે વર્ષનો ડબ્લ્યુટીસી (વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ) સાયકલમાં યથાવત રહેશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે કારણ કે, 2025માં જ્યારે ત્રીજી સાયકલ સમાપ્ત થશે ત્યારે તે 38 વર્ષની આસપાસ હશે. હાલ મારૂ માનવું છે કે, શિવસુંદર દાસ અને તેના સાથીઓએ બે ટેસ્ટ પછી અને તેમના બેટિંગ ફોર્મને જોતા નિર્ણય લેવો પડશે.


મૂળભૂત રીતે BCCI અન્ય સ્પોર્ટ્સ બોર્ડથી ખૂબ જ અલગ રીતે કામ કરે છે. ભારતીય બોર્ડના ટોચના અધિકારીઓને લાગે છે કે, જ્યારે ટીકા ચરમસીમાએ પહોંચે છે ત્યારે નિર્ણયો ના લો. સૂત્રએ કહ્યું હતું કે, વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ ડિસેમ્બરના અંત સુધી જ્યારે ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે ત્યાં સુધી કોઈ ટેસ્ટ નહીં રમાય. તેથી પસંદગીકારો પાસે વિચાર-વિમર્શ કરવા અને નિર્ણય લેવા માટે પૂરતો સમય રહેશે. ત્યાં સુધીમાં પાંચમો સિલેક્ટર (નવા ચેરમેન) પણ કમિટીમાં જોડાઈ જશે અને પછી નિર્ણય લઈ શકાશે.


વિરાટ બાદ કેપ્ટનશીપ મળી


જેઓ ભારતીય ક્રિકેટને અનુસરે છે તેઓ જાણે છે કે, જ્યારે વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકામાં શ્રેણી હાર્યા પછી ટેસ્ટ કેપ્ટનશીપ છોડી દીધી હતી, ત્યારે રોહિત શરૂઆતમાં પરંપરાગત ફોર્મેટમાં કેપ્ટન બનવા માટે બહુ ઉત્સુક ન હતો. કારણ કે, તે જાણતો ન હતો કે તેનું શરીર સાથ આપશે કે નહીં. તે સમયે બે ટોચના અધિકારીઓ (ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ)એ લોકેશ રાહુલને દક્ષિણ આફ્રિકામાં સુકાની તરીકે પ્રભાવિત કરવામાં નિષ્ફળ ગયા બાદ ભૂમિકા નિભાવવા માટે સમજાવવું પડ્યું હતું તેમ સૂત્રએ જણાવ્યું હતું.


રોહિત શર્મા રહ્યો છે સતત ફ્લોપ


રોહિતે નાગપુરમાં પડકારજનક વિકેટ પર ઓસ્ટ્રેલિયા સામેની શાનદાર 120 રન સિવાયની તેની ક્ષમતા અનુંસારની ઈનિંગ્સ રમી નથી. રોહિતે 2022માં ટેસ્ટ કેપ્ટનશીપ સંભાળી ત્યારથી ભારતે 10 ટેસ્ટ રમી જેમાંથી તે ત્રણમાં રમ્યો નહોતો. તેણે આ સમયગાળા દરમિયાન સાત ટેસ્ટમાં 390 રન બનાવ્યા અને સારી એવરેજ બનાવી. એક સદી ફટકારી પરંતુ 50થી ઉપરનો બીજો કોઈ સ્કોર નહોતો. આ દરમિયાન વિરાટ કોહલીએ તમામ 10 ટેસ્ટ રમી હતી. તેણે 17 ઇનિંગ્સમાં 517 રન બનાવ્યા હતા જેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર અમદાવાદ ખાતે ઓસ્ટ્રેલિયા સામે 186 રન હતો. તો વાત ચેતેશ્વર પૂજારાની કરીએ તો આ સમયગાળા દરમિયાન તેણે આઠ ટેસ્ટની 14 ઇનિંગ્સમાં 482 રન બનાવ્યા હતા, જેમાં બે અણનમ ઇનિંગ્સનો પણ સમાવેશ થાય છે. તેની એવરેજ 40.12 હતી પરંતુ તેણે બાંગ્લાદેશની નબળી ટીમ સામે 90 અને 102ની બે ઇનિંગ્સ ફટકારી હતી.