નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડ અને રાજ્ય ક્રિકેટ સંઘમાં સુધારાના મુદ્દે સુપ્રીમ કોર્ટમા આજે સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટ ગત વર્ષે ચૂંટાયેલા નવા અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહના કાર્યકાળ વધારવાની માંગ કરતી અરજી પર વિચાર કરી શકે છે.


લોઢા સમિતિની ભલામણ મુજબ કોઈ રાજ્યના ક્રિકેટ સંઘ અને બીસીસીઆઈ મળીને 6 વર્ષ સુધી હોદ્દા પર રહેતા વ્યક્તિને 3 વર્ષ સુધી કોઈ પદ ન લઈ શકે. બીસીસીઆઈમાં પદ સંભાળતા પહેલા ગાંગુલી બંગાળ ક્રિકેટ બોર્ડ અને જય શાહ ગુજરાત ક્રિકેટ બોર્ડમાં હોદ્દેદારો હતા. આ હિસાબે બંને 6 વર્ષ હોદ્દેદાર રહી ચુક્યા છે.

જોકે, બિહાર ક્રિકેટ સંઘના સચિવ અને આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગના અરજીકર્તા આદિત્ય વર્માએ કહ્યું કે, સૌરવ ગાંગુલી અને જય શાહને કૂલિંગ ઓફ પીરિયડ હટાવવાના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે તો તેમના વકીલ વિરોધ નહીં કરે. 2013માં સ્પોટ ફિક્સિંગ મામલા બાદ સુપ્રીમ કોર્ટે લોઢા સમિતિ બનાવી હતી. જેની ભલામણ બાદ વિશ્વના સૌથી ધનિક બોર્ડે બંધારણમાં ધરખમ ફેરફાર કર્યા હતા.

બીસીસીઆઈના નવા બંધારણ મુજબ રાજ્ય સંઘ કે બોર્ડમાં છ વર્ષના કાર્યકાળ બાદ ત્રણ વર્ષનો વિરામ હોવો જરૂરી છે. ગાંગુલી અને શાહે ગત વર્ષે ઓક્ટોબરમાં કાર્યભાર સંભાળ્યો હતો. ગાંગુલીનો છ વર્ષનો રાજ્ય તથા રાષ્ટ્રીય કાર્યકાળ પૂરા થવામાં નવ મહિના બાકી રહ્યા હતા ત્યારે ચાર્જ સંભાળ્યો હતો. ગાંગુલીના છ વર્ષ ચાલુ મહિનાના અંતે પૂરા થશે.  જ્યારે શાહનો કાર્યકાળ પૂરો થઈ ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.