નવી દિલ્હીઃ ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ આગામી 27 નવેમ્બરથી શરૂ થઇ રહ્યો છે, ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતીય ટીમ ત્રણ વનડે, ત્રણ ટી20, અને ચાર ટેસ્ટ મેચ રમવાની છે. આ માટે ટીમની પસંદગી પણ થઇ ચૂકી છે. પરંતુ રોહિત શર્માને ટીમમાં પસંદગી ના કરાતા વિવાદ થયો હતો, હવે રોહિત શર્માના રમવા અંગે બીસીસીઆઇ અધ્યક્ષ અને પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ મોટો ખુલાસો કર્યો છે. ઉલ્લેખનીય છે કે રોહિત શર્મા ઇજાગ્રસ્ત હોવાથી તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.


પૂર્વ કેપ્ટન ગાંગુલી રોહિત શર્મા અને ઇશાંત શર્માને મોકો આપવાની વાતને લઇને કહ્યું- બન્ને ખેલાડીઓને મોકો મળી શકે છે. ગાંગુલીએ કહ્યું- જો રોહિત શર્મા અને ઇશાંત શર્મા બોર્ડર-ગાવસ્કર ટ્રૉફી પહેલા ફિટ થઇ જાય છે તો ટેસ્ટ ટીમમાં તે મુખ્ય ભૂમિકા નિભાવી શકે છે. અમે ઇશાંત અને રોહિત પર નજર રાખી રહ્યાં છીએ. ઇશાંત પુરેપુરો આઉટ નથી થયો, તે ટેસ્ટ સીરીઝનો ભાગ બની શકે છે. રોહિત માટે અમે ઇચ્છીએ છીએ કે તે ઓસ્ટ્રેલિયા માટે ફિટ થઇ જાય. જો તે ફિટ છે, તો મને વિશ્વાસ છે કે પસંદગીકારો તેની સ્થિતિ પર ફરીથી વિચાર કરશે.



ગાંગુલીએ ખુલાસો કરતાં કહ્યું કે, બાયૉ બબલ અને ક્વૉરન્ટાઇન નિયમો હોવા છતાં રોહિતને પાછળથી મોકલવામાં આવી શકે છે. ઓસ્ટ્રેલિયા માટે ફ્લાઇટ છે. રોહિત હાલ પોતાના પગની ઇજાના કારણે બહાર છે, અને તે જલ્દી ઠીક થઇ જશે. પરંતુ આઇપીએલ પ્લેઓફમાં રમવા અંગે મુંબઇ ફ્રેન્ચાઇઝીને આશા છે.

ગાંગલીએ બધી વાત એક ઇન્ટરવ્યૂમાં કહી હતી, તેને એમ પણ કહ્યું કે, ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવવા સક્ષમ છે. ઉલ્લેખનીય છે કે ગાંગુલીની આગેવાનીમાં ભારતીય ટીમ 2003-04માં ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝ ડ્રૉ કરાવવામાં સફળ રહી હતી.