Dhammika Niroshana Murder: શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર ધમ્મિકા નિરોશનાની મંગળવારે રાત્રે (16 જુલાઈ 2024) અંબાલાંગોડામાં તેના ઘરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ચોંકાવનારી ઘટનાથી ક્રિકેટ સમુદાય અને શ્રીલંકા શોકમાં ડૂબી ગયું છે. સ્થાનિક પોલીસે પુષ્ટિ કરી છે કે એક અજાણ્યા હુમલાખોરે નિરોશનના ઘરમાં ઘૂસીને તેને ગોળી મારી દીધી હતી, જ્યારે તે તેની પત્ની અને બે બાળકો સાથે હતો.


હત્યારાએ નિરોશન પર શા માટે ગોળી ચલાવી તેનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી અને આરોપી ફરાર છે. આંબલાંગોડા પોલીસ હાલમાં ગુનેગારને પકડવાનો પ્રયાસ કરી રહી છે અને કેસની તપાસ ચાલુ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી 12 બોરની બંદૂક લઈને આવ્યો હતો.


41 વર્ષીય નિરોશને અંડર-19 સ્તરે શ્રીલંકાનું પ્રતિનિધિત્વ કર્યું, તેણે 2000માં સિંગાપોર સામે ડેબ્યૂ કર્યું. તેણે બે વર્ષ સુધી અંડર-19 ટેસ્ટ અને ઓડીઆઈ ક્રિકેટ રમી અને દસ વખત ટીમનું સુકાની પણ કર્યું. નિરોશન રાઈટ હેન્ડ ફાસ્ટ બોલર અને રાઈટ હેન્ડ બેટ્સમેન હતો. 2002ના અંડર-19 વર્લ્ડ કપમાં નિરોશને 5 ઇનિંગ્સમાં 19.28ની એવરેજથી 7 વિકેટ લીધી હતી.


નિરોશન તેની કારકિર્દી દરમિયાન સારો બોલર હતો. અંડર-19 પછી, તેણે સ્થાનિક શ્રીલંકાની ટૂર્નામેન્ટમાં તેની ક્રિકેટ સફર ચાલુ રાખી. તે ચિલાવ મેરીઅન્સ ક્રિકેટ ક્લબ અને ગાલે ક્રિકેટ ક્લબ માટે પણ રમતો જોવા મળ્યો હતો. ક્રિકેટરના મૃત્યુ બાદ તેનો પરિવાર શોકમાં છે.


આ રહી હતી ધમ્મિકા નિરોશનની કરિયર 
ધમ્મિકા નિરોશન જોન્ટીના નામથી પણ ફેમસ હતો. તેનો જન્મ 22 ફેબ્રુઆરી 1983ના રોજ ગાલેમાં થયો હતો. તેણે કુલ 12 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી, જેમાં તેના નામે 269 રન અને 19 વિકેટ હતી. 8 લિસ્ટ A મેચમાં તેણે 48 રન બનાવ્યા અને 5 વિકેટ પણ લીધી.


એન્જેલો મેથ્યુસ અને ઉપુલ થરંગા જેવા ખેલાડીઓ નિરોશનની કેપ્ટનશીપમાં રમ્યા હતા
ધમ્મિકા નિરોશને 2000માં શ્રીલંકા અંડર-19 ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું અને બે વર્ષ સુધી અંડર-19 ટેસ્ટ અને ODI ક્રિકેટ રમી હતી. તેણે 10 મેચમાં શ્રીલંકાની અંડર-19 ટીમની કેપ્ટનશિપ પણ કરી હતી. પરવેઝ મહરૂફ, એન્જેલો મેથ્યુસ અને ઉપુલ થરંગા જેવા ખેલાડીઓ તેના નેતૃત્વમાં રમ્યા છે. જો કે, નિરોશનની કારકિર્દી ક્યારેય પીક પર ન આવી અને તેણે તેની છેલ્લી સ્પર્ધાત્મક મેચ ડિસેમ્બર 2004માં રમી હતી.