Sunil Gavaskar On Vaibhav Suryavanshi: 29 બોલમાં 97 રનની તોફાની ઇનિંગ રમનાર 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ સૌને પોતાના પ્રશંસક બનાવી દીધા છે. હવે ભારતીય ક્રિકેટના દિગ્ગજ સુનીલ ગાવસ્કરે પણ તેના જોરદાર વખાણ કર્યા છે. ‘સ્પોર્ટ્સ તક’ પર થયેલી વાતચીત દરમિયાન ગાવસ્કરે વૈભવને ‘ભારતીય ક્રિકેટ માટે ભગવાનની ભેટ’ ગણાવ્યો છે અને આગામી ઇંગ્લેન્ડ પ્રવાસની T20 ટીમમાં તેને સામેલ કરવાની ભલામણ પણ કરી છે.
તેમણે કહ્યું કે જો જરૂર પડે તો પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવવા માટે સંજુ સેમસન અથવા અભિષેક શર્માને પણ બહાર બેસાડી શકાય છે, પરંતુ વૈભવને તક મળવી જોઈએ. ગાવસ્કરે ભાવુક અંદાજમાં કહ્યું, ‘હું ઈચ્છું છું કે આ છોકરાની અંદરનું બાળપણ ક્યારેય ખતમ ન થાય.’
ગાવસ્કરે આઈપીએલ એલિમિનેટરમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે સૂર્યવંશીની 29 બોલમાં 97 રનની શાનદાર ઈનિંગ જોઈ હતી અને તેઓ આ યુવા ખેલાડીની બેખૌફ રમતથી ખૂબ પ્રભાવિત થયા છે, ખાસ કરીને જે રીતે તેણે પેટ કમિન્સના બોલ પર સીધો છગ્ગો માર્યો. યુટ્યુબ પર આવતા શો ‘સ્પોર્ટ્સ તક’ પર તેમણે કહ્યું કે, "2026 ને વૈભવ સૂર્યવંશીના વર્ષ તરીકે યાદ કરવામાં આવશે. તે T20 ઇન્ટરનેશનલ રમવા માટે તૈયાર છે. ઇંગ્લેન્ડના પ્રવાસ પર યોજાનારી T20 સીરીઝ માટે તેની પસંદગી કરવામાં આવશે. મારો કહેવાનો અર્થ એ છે કે આ શાનદાર પ્રદર્શન પછી તે ટીમમાં પસંદગી પામવાને હકદાર છે. જો તમે અત્યારે પણ તેને તક નહીં આપો, તો પછી ક્યારે આપશો?"
ભારતના પૂર્વ કેપ્ટનનું કહેવું છે કે તેમને પૂરો વિશ્વાસ છે કે ઉંમર કોઈ વધુ મહત્વ રાખતી નથી કારણ કે વૈભવ માત્ર 15 વર્ષની ઉંમરે જ દરેક પ્રકારના બોલરોની ધોલાઈ કરી રહ્યો છે. સમાચાર મુજબ ગાવસ્કરે કહ્યું કે, ‘તેની ઉંમર ન જુઓ. તે એવા બોલરોને મારી રહ્યો છે જે તેનાથી મોટા છે. બલ્કે 15 વર્ષની ઉંમરે તે એવા બોલરોને ફટકારી રહ્યો છે જેમની પાસે 15 વર્ષનો ઇન્ટરનેશનલ અનુભવ છે. તેનો બેખૌફ અંદાજ જુઓ.’
જોકે ગાવસ્કરે ઉમેર્યું કે, ‘હા, કોને બહાર કરવા તે એક મુશ્કેલ નિર્ણય હશે. પરંતુ આ એક સારી મુશ્કેલી છે. જ્યારે તમારી પાસે એવો વિકલ્પ હોય કે કોને બહાર કરવા, ત્યારે તે તમારા દેશમાં ટેલેન્ટની ઊંડાઈ દર્શાવે છે. મને લાગે છે કે તેને 15 કે 16 ખેલાડીઓની ટીમમાં રાખવામાં આવશે, પરંતુ તે પ્લેઈંગ ઈલેવનમાં હશે કે નહીં તેનો નિર્ણય પછી લઈ શકાય છે. પરંતુ તે ડ્રેસિંગ રૂમમાં રહીને જે અનુભવ મળશે તે અમૂલ્ય હશે.’
