IND vs SA: સાઉથ આફ્રિકા સામે હાર બાદ કેપ્ટન સૂર્યકુમારનું નિવેદન, ખરાબ બેટિંગને લઈ કહી આ વાત
ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2026 ના ગ્રુપ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ પ્રથમ સુપર 8 મેચમાં 76 રનથી મોટી હારનો સામનો કરવો પડ્યો હતો

Suryakumar yadav statement: ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2026 ના ગ્રુપ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ પ્રથમ સુપર 8 મેચમાં 76 રનથી મોટી હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે સેમિફાઇનલમાં પહોંચવાનો તેમનો માર્ગ ઘણો મુશ્કેલ બન્યો હતો. ટીમ ઇન્ડિયાનો સામનો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પ્રથમ સુપર 8 મેચમાં દક્ષિણ આફ્રિકા સામે થયો હતો. 188 રનનો લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમ 18.5 ઓવરમાં 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હાર બાદ ટીમ ઇન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં ખરાબ બેટિંગને સૌથી મોટું કારણ ગણાવ્યું.
અમે પાવરપ્લેમાં ઘણી બધી વિકેટ ગુમાવી દીધી
T20 વર્લ્ડ કપ 2026 સુપર 8 મેચમાં દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ બ્રોડકાસ્ટર સાથે વાત કરતા ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું, "મને લાગે છે કે અમે મેચની શરૂઆત સારી રીતે કરી હતી, જ્યારે દક્ષિણ આફ્રિકાએ 21 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે અમારા બોલરોએ સારી બોલિંગ કરી હતી." તે પછી 7 થી 15 ઓવર વચ્ચે તેઓએ જે રીતે બેટિંગ કરી મને લાગે છે કે તેમણે ખૂબ સારી બેટિંગ કરી અને પછી અમે રમતમાં પાછા ફર્યા. જો આપણે જોઈએ તો અમે ઘણી સારી બોલિંગ કરી. લક્ષ્યાંકનો પીછો કરવામાં અમે વધુ સારી બેટિંગ કરી શક્યા હોત. હું કહેવા માંગુ છું કે ક્યારેક ક્યારેક તમારે વિચારવું પડે છે કે જો તમે 180 થી 185 ના સ્કોરનો પીછો કરી રહ્યા છો તો તમે પાવરપ્લેમાં મેચ જીતી શકશો નહીં, પરંતુ તમે ચોક્કસપણે હારી શકો છો.
અમે મજબૂત રીતે વાપસી કરીશું
આ મેચમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ સેમિફાઇનલમાં પહોંચવાનો તેમનો રસ્તો ચોક્કસપણે થોડો મુશ્કેલ બની ગયો છે. સૂર્યકુમાર યાદવે આ વિશે કહ્યું, "અમે આ હારમાંથી શીખીશું અને બેસીને ચર્ચા કરીશું જેથી અમે મજબૂત રીતે વાપસી કરી શકીએ. આશા છે કે, આગામી મેચોમાં, અમે સારી બેટિંગ કરીશું, સારી બોલિંગ કરીશું અને સારી ફિલ્ડિંગ કરીશું, બસ. આપણે તેને સરળ રાખવાનો પ્રયાસ કરીશું. આપણે જે પ્રકારનું ક્રિકેટ રમવા માંગીએ છીએ તે રમીશું અને કંઈ બદલાશે નહીં. મને લાગે છે કે અમે મજબૂત રીતે વાપસી કરીશું."




















