નવી દિલ્હીઃ ટીમના સમતુલન માટે ટોચના ક્રમના બેટ્સમેન લોકેશ રાહુલને નિયમિત વિકેટકીપિંગની જવાબદારી સોંપવાના ટીમ મેનેજમેન્ટના નિર્ણય પર પૂર્વ ભારતીય વિકેટકીપર સૈયદ કિરમાણીએ તલવારની ધાર પર ચાલવા જેવું ગણાવ્યું હતું. કિરમાણીએ રવિવારે કહ્યું કે એ સત્ય છે કે રાહુલ હાલમાં એક વિકેટકીપરની જરૂરિયાત પૂર્ણ કરી રહ્યો છે પરંતુ આ તેની સાથે સાથે ભારતીય ટીમ માટે પણ તલવારની ધાર પર ચાલવા જેવું રહેશે.


કિરમાણીએ કહ્યુ કે, રાહુલ ભારત માટે ખૂબ મૂલ્યવાન ખેલાડી છે અને તે કોઇ પણ ક્રમ પર બેટિંગ કરી શકે છે. કિરમાણીએ કહ્યું કે, વિકેટકીપિંગ એક વિશેષ કામ છે અને તેમાં થોડી પણ ભૂલ ભારે પડી શકે છે. જો વિકેટકીપિંગ દરમિયાન લોકેશ રાહુલને ઇજા થઇ જાય તો આ ભારત માટે ખૂબ મોટો ઝટકો રહેશે.

રાહુલનું ટીમમાં રહેવાથી ટીમને એક વધારાનો બોલર કે બેટ્સમેન સામેલ કરવાની તક મળશે જેના પર પૂર્વ મુખ્ય પસંદગીકારે કહ્યુ કે જો ટીમના પાંચ બેટ્સમેન અને એક ઓલરાઉન્ડર મળીને મુશ્કેલ મેચ પરિસ્થિતિઓમાં ભારતને નહી જીતાડી શકે તો એક વધારાનો બોલર કે બેટ્સમેનને રમાડવાથી કાંઇ વધુ ફેર નહી પડે.