T20 WC 2021, IND vs NZ: ભારતીય ટીમ રવિવારે ન્યૂઝીલેન્ડ સામે ટી-20 વર્લ્ડકપમાં પોતાની બીજી મેચ રમશે. સેમી ફાઇનલમાં પહોંચવા માટે ભારતે ન્યૂઝીલેન્ડને હરાવવું પડે તેમ છે. મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન વિરાટ કોહલીએ હાર્દિક પંડ્યાની ફિટનેસને લઈ મોટું નિવેદન આપ્યું છે. પાકિસ્તાન સામેની મેચ બાદ સતત પંડ્યાની ફિટનેસને લઈ ચર્ચા થતી હતી. જેના પણ કોહલીએ પૂર્ણવિરામ લગાવ્યું છે.


પંડ્યાની ફિટનેસને લઈ શું કહ્યું કોહલીએ


વિરાટ કોહલીએ પંડ્યાને ફિટ બતાવ્યો અને તેની બોલિંગને લઈ બચાવ કર્યો હતો. કોહલીએ કહ્યું, પંડ્યા પૂરી રીતે ફિટ છે. હું અને પંડ્યામાંથી કોઈ એક ટીમનો છઠ્ઠો બોલર બની શકીએ છીએ. પરંતુ છ બોલરથી પણ જીતની કોઈ ગેરંટી નથી. આ ઉપરાંત કોહલીએ શાર્દુલ ઠાકુરને લઈ પણ મોટી વાત કહી. કોહલીએ કહ્યું શાર્દુલ ટીમ ઈન્ડિયાની પ્લાનિંગનો હિસ્સો છે અને તે એક મહત્વપૂર્ણ ખેલાડી છે. તેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવાને લઇ હું સ્પષ્ટ રીતે કંઇ ન કહી શકું.


કોહલીને વાપસીને ભરોસો


વિરાટ કોહલીએ કહ્યું, ટીમના ખેલાડી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ સારું પ્રદર્શન કરે છે. ન્યૂઝીલેન્ડ સામે વાપસી કરીને ટીમ જીતશે. ટીમના ક્રિકેટર્સને વાપસી કેવી રીતે કરવી તે ખબર છે. આ પહેલા પણ આવી પરિસ્થિતિમાં ભારતીય ટીમે સારું પ્રદર્શન કર્યુ છે.


શમીના ટ્રોલિંગને શું કહ્યું કોહલીએ


ગત રવિવારે રમાયેલા મુકાબલામાં ભારતની હાર બાદ મોહમ્મદ શમીને કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર નિશાન બનાવ્યો હતો. જેને લઈ હવે ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલીનું મોટું નિવેદન સામે આવ્યું છે. શમીને નિશાન બનાવવા પર ક્રિકેટ જગતના તમામ દિગ્ગ્જોએ તેનું સમર્થન કર્યુ હતું. મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કોહલીએ કહ્યું, અમારું પોક્સ મેચ પર છે, બહારના ડ્રામા પર નહીં. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો પોતાની ઓળખ છુપાવીને આવી હરકત કરે છે, આજના સમયમાં આ સામાન્ય વાત છે. પરંતુ અમે ડ્રેસિંગ રૂમમાં સારો માહોલ રાખીએ છીએ. તેણે કહ્યું, કોઈપણ વ્યક્તિને ધર્મના આધારે નિશાન બનાવવો ખોટી વાત છે. મેં આજ સુધી કોઈ વ્યક્તિ સાથે આવો વ્યવહારર કર્યો નથી. કોહલીએ આગળ કહ્યું, મોહમ્મદ શમીની રમતમાં જો કોઈને પેશન નજરે પડતી ન હોય તો હું તે લોકોને લઈ સમય બરબાદ કરવા નથી માંગતો.