T20 World Cup 2026 Prediction: T20 વર્લ્ડ કપ 2026 ના સુપર 8 તબક્કાના પ્રારંભ પૂર્વે પાકિસ્તાનના પૂર્વ સ્ટાર બોલર મોહમ્મદ આમીરે એક સનસનાટીભર્યું નિવેદન આપીને ક્રિકેટ જગતમાં હોબાળો મચાવી દીધો છે. ફેબ્રુઆરી 2026 માં રમાઈ રહેલા આ મેગા ઇવેન્ટમાં ભારત દ્વારા ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન સામે મેળવેલી 61 રનની શાનદાર જીત છતાં, આમીરનું માનવું છે કે ટીમ ઇન્ડિયાની બેટિંગમાં રહેલી આંતરિક નબળાઈઓ તેને નોક આઉટ સ્ટેજ સુધી પહોંચતા અટકાવશે. એક ખાનગી પાકિસ્તાની ન્યૂઝ ચેનલ પર ચર્ચા દરમિયાન આમીરે દાવો કર્યો હતો કે ભારતીય મિડલ ઓર્ડર દબાણ હેઠળ વિખેરાઈ જાય છે, જે તેમને સેમિફાઇનલની રેસમાંથી બહાર કરી શકે છે.

સુપર 8 નું સમીકરણ અને ભારત પાકિસ્તાન ટક્કર

વર્તમાન ટૂર્નામેન્ટમાં સુપર 8 સ્ટેજ માટે ક્વોલિફાય થયેલી ટીમોને 2 અલગ અલગ ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત ગ્રુપ 1 માં સ્થાન ધરાવે છે, જ્યારે પાકિસ્તાનને ગ્રુપ 2 માં રાખવામાં આવ્યું છે. આ ફોર્મેટ મુજબ, બંને ટીમો સેમિફાઇનલ પહેલા એકબીજા સામે ટકરાશે નહીં. જોકે, ગ્રુપ સ્ટેજમાં કોલંબો ખાતે રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવીને પોતાની તાકાત બતાવી હતી, પરંતુ મોહમ્મદ આમીર આ જીતથી પ્રભાવિત દેખાતા નથી.

Continues below advertisement

Continues below advertisement

મોહમ્મદ આમીરે ભારતીય બેટિંગ લાઇન અપ પર ઉઠાવ્યા ગંભીર સવાલ

આમીરે પોતાની આગાહીમાં ભારતીય મિડલ ઓર્ડર બેટ્સમેનોની આકરી ટીકા કરી હતી. તેમણે જણાવ્યું કે, "ભારત ભલે મોટી જીત મેળવી રહ્યું હોય, પરંતુ તેમની બેટિંગમાં સ્થિરતાનો અભાવ છે. ખાસ કરીને જ્યારે રમત નિર્ણાયક મોડ પર હોય છે, ત્યારે તેમનો મધ્યમ ક્રમ સંઘર્ષ કરતો જોવા મળે છે." આમીરના મતે વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા જેવી ટીમો સામે ભારતનું ટકી રહેવું મુશ્કેલ છે. આથી, તેમણે આગાહી કરી છે કે ભારત સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરી શકશે નહીં.

અભિષેક શર્માને કહ્યો "સ્લેપર": ફોર્મ અંગે ચિંતા

આમીરના નિશાના પર ખાસ કરીને યુવા ઓપનર અભિષેક શર્મા હતો. વર્લ્ડ કપની શરુઆતની 3 ઇનિંગ્સમાં સતત શૂન્ય (0) રન પર આઉટ થઈને 'ડક' ની હેટ્રિક કરનાર અભિષેક શર્માને આમીરે માત્ર એક "સ્લેપર" (બેટ આડેધડ ફેરવનાર) ગણાવ્યો હતો. આમીરે ઉમેર્યું કે વેસ્ટ ઈન્ડિઝ અને આફ્રિકાના ઝડપી બોલરો સામે આવી બેટિંગ ટેકનિક સફળ થઈ શકે નહીં.

રાશિદ લતીફ અને અહેમદ શહેઝાદનો અલગ મત

જોકે, આ જ ચર્ચામાં સામેલ અન્ય પાકિસ્તાની દિગ્ગજો આમીર સાથે સહમત નથી. પૂર્વ વિકેટકીપર રાશિદ લતીફ અને અહેમદ શહેઝાદે ભારતની ક્ષમતા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. રાશિદ લતીફે તો એટલે સુધી આગાહી કરી છે કે સેમિફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર 'મહાજંગ' જોવા મળી શકે છે. લતીફના મતે ભારતની ટીમ સંતુલિત છે અને તેઓ ચોક્કસપણે અંતિમ 4 માં સ્થાન મેળવશે.