રાવલપિંડીઃ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરનારા ફેન્સ માટે એક ખરાબ સમાચાર છે. ઇંગ્લેન્ડના પ્રવાસ માટે પસંદગી પામેલા પાકિસ્તાનના ત્રણ ક્રિકેટરોને સીરીઝમાં ભાગ લેવો મુશ્કેલ છે.


પાકિસ્તાનના ત્રણ ખેલાડીઓ હૈદર અલી, હારિસ રાઉફ અને શાદાબ ખાનના કૉવિડ-19 રિપોર્ટ પૉઝિટીવ આવ્યા છે. આ ત્રણેય ખેલાડીએ રવિવારે 29 સભ્યોવાળી ટીમની સાથે ઇંગ્લેન્ડ રવાના થવાના હતા.

આ ત્રણેય ખેલાડીઓ વિશે વધુ માહિતી સામે નથી આવી, મીડિયા રિપોર્ટ પ્રમાણે રવિવારે રાવલપિંડીમાં ટેસ્ટ થયા પહેલા ત્રણેય ખેલાડીઓમાં કોઇપણ પ્રકારના લક્ષણો ન હતા. શાદાબ ખાન, હૈદર અલી અને હારિસ રાઉફ પાકિસ્તાન તરફથી ઇંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ મેચોની ટી20 સીરીઝમાં ભાગ લેવાના હતા. કૉવિડ-19 રિપોર્ટ પૉઝિટીવ આવ્યા બાદ આ ખેલાડીઓને ઇંગ્લેન્ડ જવા પર સવાલો ઉઠી રહ્યાં છે.



આ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ડૉક્ટર સલીને ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઓગસ્ટમાં રમાનારી સીરીઝને જોખમકારક ગણાવી હતી. સલીમનુ માનવુ હતુ કે બન્ને ટીમોના ખેલાડીઓની પાસે આ પ્રકારની મહામારીમાં રમવાનો કોઇ અનભવ નથી, એટલે પ્રવાસ જોખમકારક છે.

પાકિસ્તાને ઓગસ્ટમા ઇંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ મેચોની ટેસ્ટ અને ત્રણ ટી20 મેચોની સીરીઝ રમવાની છે. પાકિસ્તાન અને ઇંગ્લેન્ડની વચ્ચે સીરીઝના આયોજનની તારીખોની જાહેરાત બાકી છે. ઇંગ્લેન્ડને જુલાઇમાં વેસ્ટ ઇન્ડિઝની વિરુદ્ધ ત્રણ મેચોની સીરીઝ રમવાની છે ત્યારબાદ જ પાકિસ્તાનના સાથે મહેમાન ટીમની ટક્કર થશે.