નવી દિલ્હીઃ અંડર-19 વર્લ્ડકપની ફાઇનલમાં ભારતને હરાવીને બાંગ્લાદેશ ચેમ્પિયન બન્યું હતું. ફાઇનલમાં ડકવર્થ લૂઇસના નિયમ પ્રમાણે ટીમ ઇન્ડિયાને ત્રણ વિકેટથી હરાવીને બાંગ્લાદેશનો વિજય થયો હતો. વરસાદના કારણે ડકવર્થ લૂઇસના નિયમના આધાર પર બાંગ્લાદેશને જીતવા માટે 46 ઓવરમાં 170 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેને 42.1 ઓવરમાં સાત વિકેટ પર હાંસલ કર્યો હતો. આ અગાઉ ટીમ ઇન્ડિયા 47.2 ઓવરમાં 177 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.

દરમિયાન આઇસીસીએ અંડર-19 વર્લ્ડકપની ટીમ જાહેર કરી છે. આ ટીમમાં ત્રણ ભારતીય ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં  ટીમ ઇન્ડિયાના ઓપનર યશસ્વી જયસ્વાલ, સ્પીનર રવિ બિશ્નોઇ, કાર્તિક ત્યાગીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તે સિવાય અફઘાનિસ્તાનના ઇબ્રાહિમ ઝદ્રાન, અને શફિકુલ્લાહ ગફારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. વર્લ્ડકપના ચેમ્પિયન બાંગ્લાદેશના ત્રણ ખેલાડીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં કેપ્ટન અકબર અલી, મહમુદુલ હસન જોય, શહાદત હુસૈનનો સમાવેશ થાય છે. આઇસીસી અંડર-19 વર્લ્ડકપની કેપ્ટનશીપ બાંગ્લાદેશના કેપ્ટન અકબર અલીને સોંપવામાં આવી છે. ઉપરાંત શ્રીલંકાના રવિન્દુ રસાન્થા, વેસ્ટ ઇન્ડિઝના નેમ યોંગ અને જેદેન સીલ્સને સ્થાન આપવામાં આવ્યું છે. ટીમમાં 12 ખેલાડી તરીકે કેનેડાના અકીલ કુમારને સ્થાન અપાયું છે.