નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમની પસંદગી થઇ ચૂકી છે, ટીમની જાહેરાત બીસીસીઆઇ દ્વારા કરી દેવામાં આવી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની દ્વીપક્ષીય સીરીઝ માટે ભારતીય ટીમમાં એક ક્રિકેટરનુ નામ સૌથી ચોંકાવનારુ સામે આવ્યુ છે, તે છે વરુણ ચક્રવર્તી. 29 વર્ષની ઉંમરે વરુણ ચક્રવર્તીને ભારતીય ટીમમાં સ્થાન મળ્યુ છે. ખાસ વાત છે કે માત્ર 12 ટી20 મેચો રમનારા અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં લગભગ 10 મેચોના અનુભવી આ ખેલાડીની પસંદગીએ લોકોનુ ધ્યાન ખેંચ્યુ છે.


ખાસ વાત છે કે વરુણ ચક્રવર્તી હાલ આઇપીએલમાં કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમમાંથી રમી રહ્યો છે, તે ટીમનો મુખ્ય સ્પિનર બૉલર પણ છે. વરુણની કહાની એકદમ દિલચસ્પ છે. તેને દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં 20 રન આપને પાંચ વિકેટ ઝડપી અને ચર્ચામાં આવી ગયો હતો.



આર્કિટેક્ટમાંથી ફરીથી ક્રિકેટમાં વાપસી
માત્ર 13 વર્ષની ઉંમરમાં વરુણ ચક્રવર્તીએ ક્રિકેટ રમવાનુ શરૂ કર્યુ હતુ, અને 17 વર્ષની ઉંમરે તે વિકેટકીપર બેટ્સમેન તરીકે રમતો રહ્યો. જોકે બાદમાં તેને વારંવાર ક્રિકેટ ગૃપમાંથી બહાર કાઢી મુકાતા તેને ક્રિકેટ છોડીને અભ્યાસ શરૂ કરી દીધો હતો. તેને ચેન્નાઇની એક કૉલેજમાં આર્કિટેક્ટરમાં પાંચ વર્ષનો કોર્સ કર્યો અને પછી તેને પેકેજ પર ફ્રીલાન્સ આર્ટિટેક્ટ તરીકે નોકરી શરૂ કરી દીધી હતી.

આ પછી તેને ફરીથી ટેનિસ બૉલથી ક્રિકેટ રમવાનુ શરૂ કરી દીધુ, અને ફાસ્ટ બૉલિંગ કરવા લાગ્યો હતો. પરંતુ ફરીથી ઇજાગ્રસ્ત થતાં તે ફરીથી સ્પિન બૉલિંગ પર હાથ અજમાવવાનુ શરૂ કરી દીધુ. બાદમાં તેને સ્પિન બૉલિંગમાં વિવિધતા લાવવાનુ શરુ કર્યુ, અને એક મિસ્ટ્રી સ્પિનર બની ગયો. વરુણના મતે તે સાત પ્રકારના બૉલ નાંખી શકે છે. તેના મતે તે લેગ, ઓફ બ્રેક, ગૂગલી, કૈરમ બૉલ, ફ્લિપર, યોર્કર અને ટૉપ સ્પિનર નાંખી શકે છે.

વરુણ ત્યારે સૌથી વધુ ચર્ચામાં આવ્યો જ્યારે તેને તામિલનાડુ પ્રીમિયર લીગમાં 240 બૉલ ફેંક્યા હતા, જેમાં તેને 125 ડૉટ બૉલ નાંખ્યા હતા. વરુણને વર્ષ 2019માં આઇપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબે 8.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. 20 લાખની બેઝ પ્રાઇઝ વાળા વરુણને તેની બેઝ પ્રાઇઝથી 42 ગણી વધુ રકમથી ખરીદવામાં આવ્યો. જોકે, આ વર્ષે તે કેકેઆરની ટીમ સાથે આઇપીએલમાં રમી રહ્યો છે.