Virat Kohli Reveals MS Dhoni Text Message: વિરાટ કોહલી અત્યાર ફુલ ફોર્મમાં રમી રહ્યો છે. એશિયા કપ 2022માં અફઘાનિસ્તાન સામે 71મું શતક લગાવીને કોહલીએ પોતાના કરિયરની નવી ઈનિંગની શરુઆત કરી હોય એવું લાગી રહ્યું છે. સોશિયલ મીડિયા પર તો વિરાટ કોહલીની હાલની વિસ્ફોટક ઈનિંગને કોહલી 2.0નું નામ પણ અપાયું છે. અત્યારે T20 વર્લ્ડ કપમાં પણ વિરાટનું બેટ શાનદાર રન બનાવી રહ્યું છે. વિરાટના પ્રદર્શનને જોતાં ICC પ્લેયર ઓફ ધ મંથ તરીકે તેની પસંદગી પણ કરી છે.


વિરાટ કોહલીએ ખુદ કર્યો ખુલાસોઃ


જો કે, વિરાટ કોહલી આ પહેલાં પોતાના ખરાબ પ્રદર્શનના કારણે સતત ટીકાકારોના નિશાના પર રહ્યો હતો. વિરાટ રન બનાવવા માટે સતત સંઘર્ષ કરી રહ્યો હતો. વિરાટ કોહલીના આ ખરાબ સમયમાં તેને ધોનીએ એક મેસેજ કર્યો હતો. વિરાટ કોહલીએ ખુદ આ વાતનો ખુલાસો કરતાં કહ્યું હતું કે, આ વર્ષની શરૂઆતમાં જ્યારે તેણે ટેસ્ટ કેપ્ટનશીપ છોડી ત્યારે એક માત્ર વ્યક્તિએ તેને મેસેજ કર્યો હતો તે એમએસ ધોની હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રેકોર્ડ કરાયેલા પોડકાસ્ટમાં, કોહલીએ હવે તે સમય દરમિયાન ધોનીએ તેને મોકલેલ ટેક્સ્ટ મેસેજ શું હતો તે જાહેર કર્યું છે.


ધોનીએ શું મેસેજ કર્યો હતો?


“એકમાત્ર વ્યક્તિ જે ખરેખર મારી પાસે પહોંચ્યો હતો તે હતો એમએસ ધોની. મારા માટે, તે જાણવું એક આશીર્વાદ છે કે મારાથી આટલા સિનિયર વ્યક્તિ સાથે હું આટલું મજબૂત જોડાણ અને સંબંધ ધરાવી શકું છું. તે પરસ્પર આદર પર આધારિત મિત્રતા જેવું છે. ધોનીએ મને કરેલા મેસેજમાં પણ તે હતું. મેસેજમાં ધોનીએ લખ્યું હતું કે, 'જ્યારે તમારી પાસેથી મજબૂત બનવાની અપેક્ષા રાખવામાં આવે છે અને એક મજબૂત વ્યક્તિ તરીકે જોવામાં આવે છે, ત્યારે લોકો તમને પૂછવાનું ભૂલી જાય છે કે તમે કેવી રીતે કરી રહ્યા છો".


આમ એમ એસ ધોનીએ વિરાટ કોહલીને ખરાબ સમયમાં લોકોની માનસિકતા અને અપેક્ષાઓ અંગે જણાવતો મેસેજ કરીને પ્રેરકબળ પુરુ પાડ્યું હતું. હવે વિરાટ પોતાના કપરા સમયમાંથી બહાર આવી ગયો છે અને શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.