MS Dhoni: ચેન્નાઈ સુપર કિંગ્સ આજે (18 મે) IPL 2026 ના 63મા મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. આ મેચ ચેન્નાઈના હોમ ગ્રાઉન્ડ એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. મેચ પહેલા ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની (MS Dhoni) ને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. ચાહકો એ જાણવા ઉત્સુક છે કે શું ધોની આજે હૈદરાબાદ સામે રમશે કે નહીં? આ સાથે માહીના આઈપીએલ રિટાયરમેન્ટની વાત પણ થઈ રહી છે.
વાસ્તવમાં, ધોનીએ 2021 માં ચેન્નાઈની આઈપીએલ ટ્રોફી જીત્યા બાદ કહ્યું હતું કે, "મેં હંમેશા મારું ક્રિકેટ પ્લાન કર્યું છે. મારી છેલ્લી મેચ રાંચીમાં હતી. વનડેમાં મારી છેલ્લી હોમ મેચ મારા ઘર રાંચીમાં હતી. તેથી, આશા છે કે મારી છેલ્લી T20 મેચ ચેન્નાઈમાં હશે. આવતા વર્ષે થશે કે પાંચ વર્ષ પછી, તે અમે ચોક્કસ જાણતા નથી."
5 વર્ષનો સમય પૂરો થયો
માહીએ 2021 માં જે 5 વર્ષનો ઉલ્લેખ કર્યો હતો, તે આ આઈપીએલ સીઝનમાં પૂરા થઈ રહ્યા છે. આ સાથે ચેન્નાઈનું હોમ ગ્રાઉન્ડ પર આ છેલ્લો મુકાબલો પણ છે. આ હિસાબે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આજે ધોની મેદાન પર ઉતરી શકે છે અને આ તેની આઈપીએલ કરિયરની છેલ્લી મેચ પણ હોઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે આ સીઝનમાં 12 મેચ રમી ચૂકેલી ચેન્નાઈ માટે ધોનીએ હજુ સુધી એક પણ મેચ રમી નથી. સીઝનની શરૂઆતથી જ ધોની 'કાફ ઈન્જરી' થી પીડાઈ રહ્યો છે. ચેન્નાઈ એ 28 માર્ચ ના રોજ એક અપડેટમાં જણાવ્યું હતું કે ધોની ઈજાના કારણે 2 અઠવાડિયા સુધી બહાર રહી શકે છે, પરંતુ ધીમે ધીમે આ સમય 2 મહિના જેવો થઈ ગયો છે અને માહીની વાપસી થઈ નથી.
ધોનીની વાપસી પર શું બોલ્યો અશ્વિન?
ટીમ ઈન્ડિયા અને ચેન્નાઈ સુપર કિંગ્સમાં ધોનીના સાથી ખેલાડી રહી ચૂકેલા રવિચંદ્રન અશ્વિને કહ્યું, "મને લાગી રહ્યું છે કે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ધોનીના રમવાની તક છે. જોઈએ શું થાય છે. મેં જ્યાં સુધી સાંભળ્યું છે ત્યાં સુધી તે અંતિમ 2-3 મેચોમાં રમવા માટે તૈયાર છે."
જોકે નોંધનીય બાબત એ છે કે ધોનીના આજે રમવા અથવા નિવૃત્તિ લેવા અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. હવે એ જોવું રસપ્રદ રહેશે કે માહી આજે મેદાન પર ઉતરે છે કે નહીં.
