ODI World Cup 2023 Schedule: ક્રિકેટ ચાહકો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. આ વર્ષે ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ 2023ની તારીખો જાહેર કરવામાં આવી છે. ફાઈનલ મેચ ક્યાં રમાશે તે પણ નક્કી થઈ ગયું છે. નોંધનીય છે કે આ વર્ષે વર્લ્ડકપ 5 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે.






ESPNcricinfoના રિપોર્ટમાં વન-ડે વર્લ્ડકપની તારીખો અને સ્થળ અંગેનો ખુલાસો કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 10 ટીમોની આ ટુર્નામેન્ટ માટે એક ડઝન સ્થળોને શોર્ટલિસ્ટ કર્યા છે.


46 દિવસમાં કુલ 48 મેચો યોજાશે


BCCIએ વર્લ્ડ કપ ફાઈનલ માટે સૌથી મોટા સ્ટેડિયમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને શોર્ટલિસ્ટ કર્યું છે. મતલબ કે અહીં ફાઈનલ થવાની લગભગ નિશ્ચિત છે. આ ટુર્નામેન્ટ 46 દિવસ ચાલશે. આ દરમિયાન 10 ટીમો વચ્ચે 3 પ્લેઓફ સહિત કુલ 48 મેચો રમાશે.


આ તમામ મેચો માટે BCCIએ અમદાવાદ સહિત બેંગ્લોર, ચેન્નાઈ, દિલ્હી, ધર્મશાળા, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, લખનઉ, ઈન્દોર, રાજકોટ અને મુંબઈને શોર્ટલિસ્ટ કર્યા છે. જો કે, ICC ટૂર્નામેન્ટની તારીખો એક વર્ષ અગાઉ જાહેર કરવામાં આવે છે. પરંતુ આ વખતે BCCI કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ભારત સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે. બે મુખ્ય મુદ્દાઓ પાકિસ્તાન ટીમ માટે વિઝા મંજૂરી અને ટૂર્નામેન્ટ માટે કર મુક્તિ છે.


પાકિસ્તાનને વિઝાની ખાતરી


ICCની છેલ્લી બેઠક દુબઈમાં યોજાઈ હતી. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આ મીટિંગમાં બીસીસીઆઈએ આશ્વાસન આપ્યું છે કે પાકિસ્તાનને વર્લ્ડ કપ માટે ભારતના પ્રવાસ માટે વિઝા મળશે. જ્યાં સુધી કરમુક્તિનો સવાલ છે, એવી પણ અપેક્ષા છે કે BCCI ટૂંક સમયમાં ICCને ભારત સરકારની ચોક્કસ સ્થિતિ વિશે અપડેટ કરશે.


ભારત-પાકિસ્તાન વચ્ચે 2012થી સીરિઝ રમાઇ નથી


નોંધનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી દ્વિપક્ષીય શ્રેણી (ટેસ્ટ, વન-ડે, ટી-20) ડિસેમ્બર 2012માં રમાઈ હતી. ત્યારબાદ પાકિસ્તાનની ટીમ ભારતના પ્રવાસે આવી અને બંને ટીમો વચ્ચે 2 T20 અને 3 ODIની શ્રેણી રમાઈ હતી. ટી-20 સિરીઝ 1-1 થી બરાબર રહી હતી. જ્યારે પાકિસ્તાને વનડે શ્રેણીમાં 2-1થી જીત મેળવી હતી.