Yuvraj Singh on Commentary: ઇરફાન પઠાન, આકાશ ચોપરા અને પાર્થિવ પટેલ સહિતના ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો કોમેન્ટ્રીના વ્યવસાયને અપનાવી ચૂક્યા છે. એટલું જ નહીં, 'દાદા' સૌરવ ગાંગુલી પણ ક્યારેક-ક્યારેક કોમેન્ટ્રી બોક્સમાં જોવા મળે છે. પરંતુ યુવરાજ સિંહ એક એવું મોટું નામ છે, જે કોમેન્ટ્રીના કામથી દૂર રહે છે. યુવરાજે પોતે મોટો ખુલાસો કરતા જણાવ્યું છે કે તે કોમેન્ટ્રીનો વ્યવસાય કેમ નથી અપનાવતા અને આ માટે તેમણે કેટલાક લોકોને જવાબદાર ઠેરવ્યા છે.
સ્પોર્ટ્સ તક (Sports Tak) ના જણાવ્યા અનુસાર, યુવરાજ સિંહે તે સૌથી મોટી સમસ્યાનો ખુલાસો કર્યો જેના કારણે તે કોમેન્ટ્રી નથી કરતા. તેમણે કહ્યું કે કેટલાક લોકોએ તેમના પર વ્યક્તિગત (પર્સનલ) ટિપ્પણીઓ કરી છે, જે એક મોટું કારણ છે કે તેઓ કોમેન્ટ્રી બોક્સમાં જવાનું ટાળે છે.
તે લોકોના કારણે...
યુવરાજ સિંહે કહ્યું, "હવે મેં નિવૃત્તિ લઈ લીધી છે, તેથી આ બાબતે ખુલીને વાત કરી શકું છું. જે લોકોએ બેસીને મારા વિશે વાતો કરી છે – ક્રિકેટ વિશે નહીં, પર્સનલ વાતો. જો તમે ક્રિકેટ પર કોમેન્ટ કરી રહ્યા હોવ, મેચ પર વાત કરતા હોવ તો તે યોગ્ય છે, પરંતુ જ્યારે તમે પર્સનલ લેવલ પર વાતો કરવા લાગો છો, ત્યારે તે યાદ રહી જાય છે. હું તે લોકો સાથે નથી બેસવા માંગતો જેમણે મારા વિશે વ્યક્તિગત વાતો કરી છે. આ એક મોટું કારણ છે કે હું કોમેન્ટ્રી નથી કરતો."
તેમણે કોઈનું નામ તો નથી લીધું, પરંતુ એ ચોક્કસ સ્પષ્ટ કરી દીધું છે કે કેટલાક પસંદગીના લોકોના કારણે તેઓ કોમેન્ટ્રીમાં આવવા માંગતો નથી. ક્રિકેટ કારકિર્દીમાંથી નિવૃત્તિ લીધા બાદ યુવરાજ સિંહે ઘણા પંજાબી ક્રિકેટરોને ટ્રેન કર્યા છે. જેમાં સૌથી મોટું નામ અભિષેક શર્માનું છે, જેનાથી દુનિયાના સારા-સારા બોલરો ડરવા લાગ્યા છે. આ સિવાય ટી20 વર્લ્ડ કપ 2026 પહેલા તેમને સંજુ સેમસન સાથે જોવામાં આવ્યો હતો અને IPL 2026 શરૂ થતા પહેલા તેઓ ઋષભ પંતની મદદ કરતો પણ જોવા મળ્યો હતો. નોંધનિય છે કે, યુવરાજે આ ઈન્ટરવ્યૂમાં ઘણા બીજા પણ ખુલાસા કર્યા હતા જેને લઈને ચર્ચા તેજ થઈ છે.
