અમદાવાદઃ ગુજરાતની સૌરાષ્ટ્રની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સૌરાષ્ટ્રની ટીમના યુવા ક્રિકેટર અને ભારતના પૂર્વ અંડર-19 કેપ્ટન અને 2019-20 સીઝનમાં રણજી ટ્રોફી જીતનાર ટીમના સભ્ય અવિ બારોટનું 29 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. અવિ બારોટના નિધનથી ક્રિકટ જગતમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે, કેટલાય ક્રિકેટરો અને દિગ્ગજોએ અવિ બારોટના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. કાર્ડિયાક અરેસ્ટ આવતા વિકેટકીપર અવિ બારોટનું નિધન થયું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશને આ સમાચારની પુષ્ટિ કરી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે પણ દુ:ખ વ્યકત કર્યું છે. 


અવિ બારોટના નિધનથી બીસીસીઆઇના સચિવે પણ શોક વ્યક્ત કર્યો છે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશને માહિતી આપી હતી કે હરિણાણા અને ગુજરાત માટે પણ ક્રિકેટ રમનાર અવિ બારોટનું શુક્રવાર હાર્ટ એટેકથી નિધન થયું. યુવા ક્રિકેટરના નિધનથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશને શોક વ્યકત કર્યો છે. SCAના ચેરમેન જયદેવ શાહે અવી બારોટને શ્રધ્ધાંજલિ આપી છે. અવિ બારોટ એક ઉમદા પ્રકારનો વિકેટકીપર બેટ્સમેન હતો. તેનો જન્મ 25 જુન 1992માં અમદાવાદમાં થયો હતો, અને હવે માત્ર 29 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહીને ચાલ્યો ગયો છે. 




અવિ બારોટના ક્રિકેટ કેરિયરની વાત કરીએ તો.......  
અવિ બારોટ એક બેસ્ટ વિકેટકીપરની સાથે સાથે તે ઓફ બ્રેક બોલિંગ પણ કરી શકતો હતો. તેમણે પોતાની કેરિયરમાં 38 ફર્સ્ટ કલાસ મેચ, 38 લિસ્ટ એ મેચ અને 20 સ્થાનિક T20 મેચ રમ્યા. તેમણે પોતાની ફર્સ્ટ કલાસ કેરિયરમાં 1547 રન બનાવ્યા હતા. જ્યારે લિસ્ટ એ મુકાબલામાં 1030 રન અને સ્થાનિક T20માં 717 રન બનાવ્યા હતા. 


ખાસ વાત છે કે, સૌરાષ્ટ્રે જ્યારે 2019-20 સીઝનમાં બંગાળને હરાવીને રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યા હતા. તો અવિ બારોટ તેનો હિસ્સો હતા. સૌરાષ્ટ્ર માટે તેમણે 21 રણજી ટ્રોફી મુકાબલો, 17 લિસ્ટ એ મેચ અને 11 સ્થાનિક T20 મેચ રમ્યા હતા.


ભારતનો પૂર્વ અંડર-19 કેપ્ટન રહી ચૂક્યો છે-
અવિ બારોટ ભારતના પૂર્વ અંડર 19 કેપ્ટન પણ રહી ચૂક્યો છે, અવિ બારોટ 2019-20માં રણજી ટ્રોફીનો ખિતાબ જીતનાર સૌરાષ્ટ્રની વિજેતા ટીમનો હિસ્સો રહ્યા હતા. આ સિવાય તેઓ આ વર્ષે જાન્યુઆરીમાં સૈય્યદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ સૌરાષ્ટ્રનું પ્રતિનિધત્વ કરી ચૂકયા હતા.