નવી દિલ્હીઃ ક્રિકેટનો મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગ-2020 શરૂ થવા અંગે અનિશ્ચિતતા છે. કોરોના વાયરસના કારણે આ ટુર્નામેન્ટ 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી છે પરંતુ આજદિન સુધી તે રમાશે કે નહીં રમાય તેની કોઈ જાહેરાત કરવામાં આવી નથી.


રાજસ્થાન રોયલ્સના પૂર્વ કોચ પેડી એપટને કહ્યું કે, જો ચાલુ વર્ષે આઈપીએલનું આયોજન નહીં થાય તો અનેક ક્રિકેટર ડિપ્રેશનમાં આવી શકે છે. લોકડાઉનના કારણે વર્તમાન સમયમાં ખેલાડીઓની માનસિક સ્થિતિ અને તેની સારવાર પર વાત કરતાં અપટને કહ્યું, દેશમાં કોરોના મહામારીના કારણે જો આઈપીએલ-13નું આયોજન નહીં થાય તો દેશ-વેશના અનેક પ્રતિભાશાળી ક્રિકેટર ડિપ્રેશનનો શિકાર બની શકે છે.


તેમણે કહ્યું, વૈશ્વિક સ્તર પર અચાનક આટલા લાંબા બ્રેકના કારણે માત્ર ખેલાડીઓ જ નહીં વિશ્વભરના લોકોમાં તણાવ, અસુરક્ષાની ભાવના વધશે. તમામે આ પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.


ટીમ ઈન્ડિયાના કોચિંગ સ્ટાફનો હિસ્સો રહેલા અપટને કહ્યું, આઈપીએલ સ્વાભાવિક રીતે ક્રિકેટર્સ માટે એક મોટું આયોજન અને દુધાળી ગાય છે. લોકડાઉન જેવી હાલતમાં જ્યારે કોઈ સ્વસ્થ અને સામાન્ય વ્યક્તિ ખુદને લઈ વધારે વિચારે છે ત્યારે એથલીટ્સની પણ ચિંતા વધવી સ્વભાવિક છે.