નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગે સિડની ટેસ્ટમાં મોહમ્મદ સિરાઝ પર થયેલી વંશીય ટિપ્પણીને લઈ ટ્વિટર પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. ત્રીજી ટેસ્ટ દરમિયાન ઓસ્ટ્રેલિયાના દર્શકોએ રવિવારે ટીમ ઈન્ડિયાના ક્રિકેટરો પર ટિપ્પણી કરી હતી. આ ઘટનાની સોશિયલ મીડિયા પર ખૂબ નિંદા થઈ રહી છે. પૂર્વ ભારતીય ક્રિકેટરોએ ઘટના પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે.


વિરેન્દ્ર સેહવાગે લખ્યું કે, તમે કોરો તો સરકેઝ્મ અને કોઈ બીજા કરે તો રેસિઝ્મ. ખૂબજ દુર્ભાગ્યપૂર્ણ છે કે, કેટલાક ઓસ્ટ્રેલિયાઈ દર્શકો SCGમાં એવી હરકત કરી રહ્યાં છે અને સારી ટેસ્ટ સીરિઝને ખરાબ કરી રહ્યાં છે.



પૂર્વ ભારતીય ઓપનર અને ક્રિકેટ કમેન્ટેટર આકાશ ચોપડાએ લખ્યું કે, ‘વંશીય ટિપ્પણી માટે દુનિયામાં કોઈ સ્થાન નથી. આશા કરું છું કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તેની તપાસ કરશે અને દોષિતોને સજા અપાશે.’



ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ટોમ મૂડે આ ઘટનાની નિંદા કરતા લખ્યું કે, આ સ્વીકાર્ય નથી, વંશીય ટિપ્પણીને કોઈ સ્થાન નથી.



ઉલ્લેખનીય છે કે, ત્રીજી ટેસ્ટમાં ઈનિંગની 86મી ઓવર પૂરી થયા બાદ સિરાજ બાઉન્ડ્રી પર ગયો ત્યારે ઓસ્ટ્રેલિયાના દર્શકોએ ગાળો આપી હતી. આ અંગે તેણે કેપ્ટનને રહાણેને વાત કરી હતી. જે બાદ રેફરીને વાત કરવામાં આવી હતી અને બંને એમ્પાયરોએ સિરાજે બતાવેલી જગ્યા પર ગયા હતા. પોલીસે પણ ત્યાં તપાસ કરી હતી અને આ માટે આશે 10 મિનિટ સુધી મેચ સ્થગિત થઈ હતી.

સિરાજની ઓવરમાં ગ્રીને ઉપરા છાપરી બે છગ્ગા ઠોક્યા પછી ઓવર પૂરી કરીને બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ માટે ગયો ત્યારે આ સમગ્ર ઘટના બની હતી. સિરાજની ફરિયાદ બાદ 6 દર્શકોને મેદાન બહાર કરી દેવામાં આવ્યા હતા. સુરક્ષાકર્મીઓ દ્વારા સિરાજે બતાવેલી જગ્યાનું નિરીક્ષણ કર્યા બાદ આ પગલું લીધું હતું.