India vs England 1st ODI: ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝની પ્રથમ મેચ આજે રમાશે. આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં બપોરે 01-30 કલાકથી શરૂ થશે. વિરાટ સેનાએ ભલે ટેસ્ટ અને ટી20 સીરીઝમાં દમદાર પ્રદર્શન કર્યું હોય, પરંતુ વનડેમાં ઈંગ્લેન્ડની ટીમ ઇન્ડિયા માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે. હાલમાં બન્ને ટીમના હાલના પ્રદર્શનને જોતા એ કહેવું ખોટું નહીં હોય કે આ મેચમાં જોરદાર ટક્કર જોવા મળશે.


રોહિત કરી શકે છે ઓપનિંગ


કહેવાય છે કે, આ વખતે ઓપનિંગમાં રોહીત શર્મા સાથે કેએલ રાહુલ આવી શકે છે. જોકે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું છે કે, વનડેમાં રોહિત શર્મા અને શિખર ધવન ઓપનિંગ કરશે. જ્યારે ત્રણ નંબર પર વિરાટ કોહલી અને ચાર નંબર પર શ્રેયસ ઐયરનું રમવાનું નક્કી છે. આ મેચમાં જોવાનું એ રહેશે કે કેપ્ટન કોહલી વોકેટકીપિંગની જવાબદારી કોનો સોંપે છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વનડે સીરીઝમાં આ ભૂમિકા કેએલ રાહુલે નિભાવી હતી પરંતુ ઇંગ્લેન્ડની સામે હાલમાં તેનું ફોર્મ જોતા તેની પણ ટીમમાં વાપસી થઈ શકે છે.


કૃણાલ પંડ્યાને મળી શેક છે ડેબ્યૂની તક


ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા વનડે સીરિઝમાં પણ ટીમ ઇન્ડિયાનો ભાગ નથી. ટેસ્ટ અને ટી20 સીરિઝમાં તેની ખોટ અક્ષર પટેલે પૂરી પાડી હતી, પરંતુ વનડે સરિઝમાં તેને ટીમમાં સ્થાન મળ્યું નથી. એવામાં કેપ્ટન વિરાટ કોહલી વનડેમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલ કૃણાલ પંડ્યાને ડેબ્યૂની તક આપી શકે છે. ભારત માટે 18 ટી20 મેચ રમી ચૂકેલ કૃણાલના હાલના ફોર્મને ધ્યાનમાં રાખતા ટીમમાં સ્થાન મળી શકે છે.


બુમરાહ વગર મજબૂત છે ભારતનો ફાસ્ટ બોલિંગ વિભાગ


ટી20 સીરિઝમાં ટીમ ઇન્ડિયામાં ભલે બુમરાહ ન હોય પરંતુ વનડે સીરિઝમાં ફાસ્ટ બોલિંગ વિભાગમાં ટીમને કોઈ મુશ્કેલી નહીં આવે. ભુવનેશ્વર કુમાર વનડે સીરિઝમાં લીડ બોલર હશે. જ્યારે શાર્દુલ ઠાકુર પણ ટીમમાં છે. ઉપરાંત મોહમ્મદ સિરાજ, ટી નટરાજન અને પ્રસિદ્ધ ક્રિષ્ના જેવા શાનદાર યુવા બોલર પણ છે.


ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન


ભારતીય ટીમ- રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ અય્યર, રિષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર ભુવનેશ્વર કુમાર.