નવી દિલ્હીઃ સેન્ચુરિયન ટેસ્ટમાં ગઇકાલે વિરાટ કોહલીનુ નવુ રૂપ જોવા મળ્યુ. ચોથા દિવસની રમતના અંત સમયે એક એવી ઘટના ઘટી જેને બધાનુ ધ્યાન ખેંચ્યુ. સામાન્ય રીતે કોહલી પોતાના આક્રમક સ્વભાવને લઇને જાણીતો છે, આ આક્રમક સ્વભાવને લઇને હવે કોહલી કેશવ મહારાજ પર ગુસ્સે થયેલો દેખાયો હતો. 


રમતના ચોથા દિવસે ટીમ ઈન્ડિયાએ યજમાનોની 4 વિકેટો પાડી દીધી હતી અને તેને જીતવા માટે માત્ર 6 વિકેટની જરૂર છે. બીજી તરફ 305 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકા (South Africa) ની ટીમને હજુ 211 રન બનાવવાના છે અને તેનો કેપ્ટન ડીન એલ્ગર (Dean Elgar) અડધી સદી સાથે ક્રિઝ પર હાજર છે.


સેન્ચુરિયનની મુશ્કેલ પિચ પર દક્ષિણ આફ્રિકા માટે જીત મેળવવી ઘણી મુશ્કેલ લાગી રહી છે. રમતના ચોથા દિવસે કુલ 13 વિકેટ પડી હતી. ટીમ ઈન્ડિયાએ 9 અને દક્ષિણ આફ્રિકાએ 4 વિકેટ ગુમાવી દીધી હતી. તે સ્પષ્ટ છે કે સેન્ચુરિયનની પિચ પર બેટિંગ કરવી ખૂબ મુશ્કેલ છે. જો કે, રમતના ચોથા દિવસે કંઈક એવું બન્યું જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયું છે.


પ્રથમ ટેસ્ટના ચોથા દિવસની છેલ્લી ઓવરમાં જ્યારે જસપ્રીત બુમરાહ બોલિંગ કરવા જઈ રહ્યો હતો. ત્યારે દક્ષિણ આફ્રિકાના ખેલાડી કેશવ મહારાજે લૉ લાઇટનુ નાટક કર્યુ હતુ. આ વાતને લઇને કોહલી ગુસ્સે થઇ ગયો હતો. છેલ્લી ઓવર પહેલા કેશવ મહારાજે એમ્પાયરને લૉ લાઇટ હોવા અંગે ફરિયાદ કરી દીધી અને, આ તમામ વાત વિરાટ સાંભળી ગયો હતો. જેના કારણે કેપ્ટન વિરાટ કોહલી કેશવ મહારાજ પર ગુસ્સે થઇ ગયો હતો. 


જોકે, બાદમાં વિરાટ કોહલીએ બુમરાહને કેશવની વાતને લઇને જણાવ્યુ અને કહ્યું કે આ ઓવરમાં જ કેશવ મહારાજને આઉટ કરવાનો છે. વિરાટ કોહલીએ કહ્યું, ‘હું તેને આઉટ કરીશ, આઉટ કરવો પડશે આને.’ વિરાટનો આ શબ્દ સ્ટમ્પ માઈક પર સંભળાયો. આ પછી જસપ્રીત બુમરાહે ખતરનાક યોર્કર નાંખ્યો અને જે કર્યું તે ખરેખર પ્રશંસનીય હતું. બુમરાહે ઓવરના પાંચમા બોલ પર મહારાજને બોલ્ડ કર્યો હતો. દક્ષિણ આફ્રિકાએ દિવસની છેલ્લી ઓવરમાં ચોથી વિકેટ ગુમાવી હતી. 


રોમાંચક બની પ્રથમ ટેસ્ટ, ભારતને જીતવા માટે છ વિકેટની જરૂર, તો દક્ષિણ આફ્રિકાને 211 રન બનાવવાના-
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ સેન્ચુરિયનમાં રમાઈ રહી છે. આજે એટલે કે ગુરુવારે મેચનો પાંચમો દિવસ છે. ટીમ ઈન્ડિયાને જીતવા માટે 6 વિકેટની જરૂર છે, તો દક્ષિણ આફ્રિકાને 211 રન બનાવવા પડશે.


ચોથા દિવસની રમતના અંતે સાઉથ આફ્રિકાએ 4 વિકેટ ગુમાવીને 94 રન બનાવી લીધા હતા. કેપ્ટન ડીન એલ્ગર 52 રન બનાવીને અણનમ છે. ટીમ ઈન્ડિયા માટે જસપ્રીત બુમરાહે 2, મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમીએ 1 1 વિકેટ લીધી છે.


આ પહેલા ટીમ ઈન્ડિયાનો બીજો દાવ 174 રનમાં સમેટાઈ ગયો હતો. તેણે પ્રથમ દાવમાં 130 રનની લીડ લીધી હતી, જે બાદ દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 305 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ડીન એલ્ગરની આ ટીમ માટે આ ટાર્ગેટ સરળ નથી, કારણ કે ચોથી ઇનિંગ્સમાં ભારતીય બોલરોનો રેકોર્ડ ઘણો સારો છે.


250થી વધુ રનનો ટાર્ગેટ આપ્યા બાદ ટીમ ઈન્ડિયા અત્યાર સુધી માત્ર બે વખત હારી છે. ટીમ ઈન્ડિયા સામે જે બે ટીમોએ 250થી વધુ રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે તે ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ છે.


ઓસ્ટ્રેલિયાએ 21 ડિસેમ્બર, 1977ના રોજ પર્થમાં 8 વિકેટ ગુમાવીને 342 રન બનાવ્યા હતા. 10 વર્ષ બાદ 29 નવેમ્બર 1987ના રોજ વેસ્ટ ઈન્ડિઝે 5 વિકેટના નુકસાને 276 રનથી જીત મેળવી હતી. સેન્ચુરિયન જીતવા માટે દક્ષિણ આફ્રિકાને 34 વર્ષનો ઈતિહાસ બદલવો પડશે.


દક્ષિણ આફ્રિકાની ટીમ ઘરઆંગણે માત્ર એક જ વાર 300થી વધુ રનના લક્ષ્યનો પીછો કરવામાં સફળ રહી છે. 2001 02માં દક્ષિણ આફ્રિકાએ ડરબન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે 335 રનના લક્ષ્યનો પીછો કર્યો હતો.


સેન્ચુરિયનમાં અત્યાર સુધી 300 રનના લક્ષ્યનો પીછો કરવામાં આવ્યો નથી. ઇંગ્લેન્ડે આ મેદાન પર સૌથી મોટો રન ચેઝ કર્યો, બોલરોને મદદરૂપ. 2000માં દક્ષિણ આફ્રિકા સામે ઇંગ્લેન્ડે અહીં લક્ષ્યનો પીછો કરતા 251 રન બનાવ્યા હતા.