IND Vs SL: ભારત વિરુદ્ધ 18 જુલાઇથી શરૂ થવા જઇ રહેલી વનડે સીરીઝની ઠીક પહેલા શ્રીલંકન ટીમને મોટો ઝટકો લાગ્યો છે. શ્રીલંકાના સ્ટાર બેટ્સમેન કુસલ પરેરા ભારત સામેની સીરીઝમાંથી બહાર થઇ ગયો છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડનુ કહેવુ છે કે ઇજાગ્રસ્ત હોવાના કારણે કુસલ પરેરા ભારત સામેની સીરીઝ નહીં રમી શકે. 


કુસલ પરેરાને ઇજામાંથી બહાર આવતા લગભગ 6 અઠવાડિયાનો સમય લાગી શકે છે. શ્રીલંકા બોર્ડ પાસેથી મળેલી માહિતી પ્રમાણે, કુસલ પરેરાનુ ભારત સામેની સીરીઝમાંથી બહાર થવાની નક્કી છે. તેને ખભામાં ઇજા થઇ છે. ટીમે ઇજા વિશે વિસ્તારથી નથી જણાવ્યુ. તેમને અધિકારીક રીતે બહાર નથી કરવામાં આવ્યો પરંતુ ટીમના ડૉક્ટરોનુ કહેવુ છે કે તેને 6 અઠવાડિયા સુધી બહાર રહેવુ પડશે. 


ઇંગ્લેન્ડ વિરુદ્ધ તાજેતરમાં જ રમાયેલી લિમીટેડ ઓવરની સીરીઝમાં કુસલ પરેરાએ બેસ્ટ પરફોર્મન્સ કર્યુ હતુ. પરેરા ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન શ્રીલંકા ટીમનો કેપ્ટન પણ હતો. પરંતુ ખેલાડીઓ અને બોર્ડની વચ્ચે કરાર વિવાદના કારણે કુસલ પરેરાને કેપ્ટનશીપમાં હટાવી દેવામાં આવ્યો છે. કુસલ પરેરાની જગ્યાએ હવે દાસુન શનાકાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. 


18 જુલાઇએ શરૂ થશે વનડે સીરીઝ- 
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી સીરીઝમાં હવે શ્રીલંકાની ટીમ પણ ફાઇનલ નથી. શ્રીલંકા ક્રિકેટ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા બન્ને બાયૉ બબલ છેલ્લા અઠવાડિયે જ બ્રેક થઇ ગયા છે. આ કારણથી સીરીઝને 13 જુલાઇએની જગ્યાએ 18 જુલાઇએ શરૂ કરવાનો ફેંસલો કર્યો છે. 


ભારતીય ક્રિકેટ ટીમ જોકે ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચોની સીરીઝ માટે જુલાઇની શરૂઆતમાં પહોંચી ગઇ હતી. શુક્રવારે સાંજ સુધી ભારત અને શ્રીલંકાની વચ્ચે રમાનારી લિમીટેડ ઓવર સીરીઝ પર સ્થિતિ સ્પષ્ટ થવાની આશા છે.  


શ્રીલંકા ક્રિકેટ (Sri Lanka Cricket) એ જાહેરાત કરી છે કે ભારત અને શ્રીલંકા વચ્ચેની શ્રેણીમાં મેચના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે બંને ટીમો વચ્ચેની વનડે મેચ બપોરે 2:30 ની જગ્યાએ બપોરે 3 વાગ્યે શરૂ થશે. આ સાથે જ ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચો રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે, જે શેડ્યૂલ મુજબ સાંજે 7 વાગ્યાથી શરૂ થવાની હતી.