સિડનીઃ બુધવારે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી વનડેમાં આબરુ બચાવવા કેનબરાના માનુકા ઓવલ મેદાનમાં ઉતરશે. કોહલી એન્ડ કંપની ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ બે વનડે હારીને સીરીઝ ગુમાવી ચૂકી છે અને અંતિમ વનડે માત્ર ઔપચારિક છે. પરંતુ કોહલી અંતિમ વનડે જીતીને આબરુ બચાવવાનો પ્રયાસ કરશે.


આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પાસે ક્રિકેટના ભગવાન ગણાતા ભારતના પૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડવાની તક છે. જો આવતીકાલે કોહલી 23 રન બનાવશે તો સચિનનો મોટો રેકોર્ડ તોડીને પોતાના નામે કરી લેશે. કોહલી પાસે વન ડેમાં સૌથી ઝડપી 12 હજાર રન બનાવવાની તક છે. કોહલી અત્યાર સુધીમાં 250 વન ડેમાં 59.3ની સરેરાશથી 11,977 રન બનાવી ચુક્યો છે.

સચિન તેંડુલકરે 309 વન ડે, ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગે 323 વન ડેમાં, શ્રીલંકાના કુમાર સંગાકારાએ 359માં અને શ્રીલંકાના સનથ જયસૂર્યાએ 390 વન ડેમાં 12,000 રન પૂરા કરવાની ઉપલબ્ધિ મેળવી હતી.

અંતિમ-ત્રીજી વનડેની સંભવિત પ્લેઇંગ ઇલેવન....

શિખર ધવન, મયંક અગ્રવાલ/શુભમન ગીલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ટી નટરાજન, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ.