મુંબઈઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ટી-20 સીરિઝનો અંતિમ અને નિર્ણાયક ટી-20 મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયામાં બે બદલાવ કરવામાં આવ્યા છે. ભારતીય ટીમમાં જાડેજા અને ચહલના સ્થાને શમી અને કુલદીપનો સમાવેશ કરવામાં આવ્યો છે.


બે વખતની વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝે તિરુવનંતપુરમમાં રમાયેલી બીજી ટી-20 જીતીને સીરિઝમાં 1-1ની બરાબરી કરી હતી. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટી20માં કોહલીની આક્રમક બેટિંગના સહારે ભારતે જીત મેળવી હતી.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અત્યાર સુધી 16 T-20 રમાઈ છે. આ પૈકી ભારતે 9 મેચ જીતી હતી, જ્યારે 6માં હારનો સામનો કર્યો હતો. એક મેચમાં રિઝલ્ટ આવ્યું ન હતું. બન્ને દેશ વચ્ચે ગત સીરિઝ અમેરિકા-વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ હતી. જેમાં ભારતે 3-0થી જીત મેળવી હતી.